આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભાજપ દિલ્હીમાં MCDની ચૂંટણી સ્થગિત કરવા માંગે છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે ,9મીએ દિલ્હી ચૂંટણી પંચે પ્રેસ આમંત્રણ મોકલ્યું હતું કે, આજે સાંજે 5 વાગ્યે MCD ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. કેન્દ્ર સરકારે 4 વાગ્યે ચૂંટણી પંચને પત્ર લખ્યો કે અમે દિલ્હીની ત્રણેય નગર નિગમોને એક મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા જઈ રહ્યા છીએ. ચૂંટણીની જાહેરાત ન થવી જોઈએ.
અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે લોકો એમ કહી રહ્યા છે કે એમસીડીને એક થવું એ બહાનું છે. જેનો હેતુ ચૂંટણી મોકૂફ રાખવાનો છે. ભાજપને લાગ્યું કે દિલ્હીમાં હવે ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીની લહેર છે, ભાજપ ચૂંટણી હારી જશે. જો આપણે ચૂંટણી પંચ પર દબાણ લાવી ચૂંટણી રદ કરાવીએ તો તેનાથી ચૂંટણી પંચ નબળું પડે છે અને દેશ નબળો પડે છે. હું વડા પ્રધાનને હાથ જોડીને વિનંતી કરું છું કે ચૂંટણી રદ ન કરો.