વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે સૌરાષ્ટ્રમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે આકાશમાં અપર લેવલે ભેજવાળા વાદળો છવાઈ ગયા હતા તેમજ અનેક વિસ્તારોમાં માવઠું થયું હતું. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. વાતાવરણમાં થયેલ બદલવાને કારણે માવઠું થવાની અને વધારે વરસાદ પડવાની સંભાવના વર્તાઈ રહી છે.
વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ ચણા, ઘઉં, લસણ, મગફળી સહિતના પાકની આવક થઈ રહી છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણને લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ખેડૂતોના પાક પર વરસાદથી નુકસાન ન પહોંચે એટલા માટે માર્કેટ યાર્ડ દ્વારા નવી આવકો બંધ કરવામાં આવી છે તેમજ ખેડૂતોને યાર્ડની અંદર ખુલ્લામાં તૈયાર પાક ન ઉતારવા સૂચના આપવામાં આવી છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી, મગફળી ચણા તેમજ મરચાંની આવક બંધ કરવામાં આવી છે. આગાહીના પગલે બે દિવસ સુધી આવક બંધ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહીને પગલે કેસર કેરીના બગીચામાં મોટા નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કેસર કેરી ઉપરાંત તમાકુના પાકને પણ નુકસાનની શક્યતા છે.
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે ગરમીથી આંશિક રાહત મળી છે. ઘાટા વાદળો અને ઠંડા પવનોને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગુજરાતનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.