“હજારો નિર્દયતાના કિસ્સામાં પણ એક આશાવાદી જન્મ લે છે , જરૂર લે છે .
દરેક તલવાર પાછળ પ્રકૃતિ તેની ઢાલ તૈયાર કરતી જ હોય છે,
આ જિવનમાં સાજાની કોઈ દરકાર કયાં લે છે,
જે લોકો સ્વયં કંઇ વિચારી પણ નથી શકતા,
તેમનાં માટે સ્વયમ પ્રકૃતિની સર્જનશકિત વિચાર કરતી હેાય છે.”
હવાની તીવ્ર ગતિથી અનેકો લોકો ગભરાતા હોય છે, ત્યારે જસદણના એક સપૂતે તાઉતે જેવી માનસિક પરિસ્થિતિ ધરાવતા માણસોને સંભાળી ભગવાનના ગુણગાન ગાયા છે. આપણા ઘરમાં વડીલો વધુ સમય સુધી બીમાર રહે તો તેની સેવા કરવી કપરી લાગે છે. એમાંય જો એ વડીલની માનસિક સ્થિતિ સારી ન હોય ત્યારે તો તેમને મળવા પણ સમાજનો મોટો ભાગ રાજી હોતો નથી. પરંતુ જસદણ તાલુકાના વિષ્ણુભાઈ ભરાડે એવા પુરુષ નીકળ્યા જેમણે ‘માનવધર્મ પરમ ધર્મ’ ગણીને રસ્તામાંથી, હોસ્પિટલમાંથી વગેરે અનેક જગ્યાએ કે જયાં આપણા વિચાર પણ ન પહોંચી શકતા હોય, ત્યાં જઈ માનસિક રીતે અસ્થિર યુવાન અને વડીલોને સાચવવાનો ભાર સ્વયં પર લઇ લીધો.
હાલ, ખીરસરાથી નજીક એવા દેવગામ સ્થિત ‘‘સત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટ ઉર્ફે ગાંડાની મોજ’ નામના આશ્રમમાં વિષ્ણુભાઈ ભરાડે દ્વારા કુલ-૧૩ માનસિક અસ્થિર લોકોની સેવા કરવામાં આવે છે. જેમાં અમુક વૃદ્ધોના પગ નથી. એક યુવાનના માથામાં અસંખ્ય જીવડા છે. એક વૃદ્ધ ઉપર એસિડનો છંટકાવ થયેલ હતો. જ્યારે એક વૃદ્ધ કચરા પેટીમાં બળેલી હાલતમાંથી મળી આવેલ હતા. એવી પરિસ્થિતિ ઉપરાંત માનસિક વિચારશકિતની દ્રષ્ટિએ અક્ષમ એવા લોકોનું ધ્યાન વિષ્ણુભાઈ અને તેમના આશ્રમમાં કામ કરતાં સાતેક (૭) જેટલા સભ્યો રાખે છે.
૧૧ વર્ષ પહેલાં વિષ્ણુભાઈ ભરાડેનાં મનમાં માનસિક રીતે અસ્થિર લોકોને ભેગા કરી તેમના માટે કંઇક કરવાની ભાવના જાગી હતી. જયારે આ ભાવનાનાં મૂળ તેમના બાળપણમાં મળેલી સારી સોબતમાં રહેલા હતા. તેઓ બાળપણમાં સરધાર મુકામે આવેલા હરિહર બાપુના આશ્રમે જતા હતા. ત્યાંના મહંત પશુ-પંખીઓની સેવા કરતા હતા. જેનાથી વિષ્ણુભાઈનાં મનમાં સેવા કરવાની ભાવના જાગી હતી. જેથી વિષ્ણુભાઇએ લીમડી, દ્વારકા, ઓખા વગેરેમાં એવા વૃદ્ધો અને યુવકો જોયા જેનું કોઈ જ નહોતું અને તેઓ માનસિક રીતે પણ પોતાના માટે કંઈ વિચારવા માટે સક્ષમ નહોતા. ત્યારે સૌપ્રથમ એકટીવા લઈને વિષ્ણુભાઇ તેમને મળવા જતાં અને પાણી પીવડાવવા, જમવાનું આપવું જેવી સુવિધાઓ પુરી પાડતા હતા.. ત્યાર બાદ રીક્ષા લઈને જવા લાગ્યા પરંતુ તેમની સાથે જવા કોઈ તૈયાર થતું નહીં. એક વખત ફળ વેચનાર ભાઇ રાજી થઇને તેમની સાથે આવ્યા ત્યારથી તેમના કાર્યને બળ મળ્યું હતું. પરંતુ માત્ર અમુક વખત સેવા આપવાથી તેમને સંતોષ થતો ન હતો. જેથી તેમણે આશ્રમ ખોલવાનો વિચાર કરી ‘‘સત સેવાભાવ ચેરીટેબલ ટ્રસ્ટ-ગાંડાની મોજ’’નું બીજારોપણ કર્યુ, જેમાં ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ દ્વારા જમીનનું યોગદાન આપી સમર્થન મેળવ્યા બાદ વિષ્ણુભાઈ ભરાડે પોતાના જીવનનો મૂળ મંત્ર આવા લોકોની સેવામાં વણી લીધો હતો. જેમાં તે ઘણા અંશે સફળ પણ થયા હતા. અને બે અસ્થિર મગજના લોકોને કામે પણ ચડાવ્યા હતા. અને આર્થિક ઉપર્જન મેળવવામાં સક્ષમ બનાવ્યા હતા.
હીંયા દરેક અસ્થિર મગજનાં વૃદ્ધો માટે વિષ્ણુભાઈ જમવાથી લઈને દવા સુધીની સગવડો પૂરી પાડતા હતા. તેઓને વૃક્ષોના ઉછેરથી લઈને સાફ સફાઈ કેવી રીતે રાખવી તેનું પણ જ્ઞાન અપાતું હતું. પરંતુ શરૂઆતની પરિસ્થિતિમાં તો વિષ્ણુભાઈને જ આ બધી વ્યવસ્થા અને કામગીરી કરવી પડતી હતી. તેમના નખ કાપવાથી લઈને નવડાવી તેમને ભોજન આપવા સુધીનું કાર્ય કોઈ ડર વિના વિષ્ણુભાઈએ કર્યું હતું. જેમાં એક વિચિત્ર પ્રકારની માનસિકતા ધરાવતાં વૃદ્ધ પણ જોવા મળ્યા હતા. જેને આખો દિવસ કંઇ ને કંઇ કામ જ કર્યે રાખવું હોય.. જેથી કંઈ ન મળે ત્યારે પોતાનો ખાટલો તોડી તેને સરખો કરવાનું પણ કામ કરી લે! જ્યારે બીજો કંઈ કરે જ નહીં એટલે કે ઉઠીને નમાજ પઢે અને વળી પાછા સૂઈ જવું, વળી ઉઠી નમાજ પઢવી અને પાછા સૂઇ જતા. આમ, કોઈ પણ એક ધર્મના સંગાથે નહિ, પરંતુ સંપૂર્ણ બિનસાંપ્રદાયિકતાની ભાવનાથી તેઓ પોતાની કામગીરી માનવતાના ધોરણે આગળ ધપાવતા રહયા, જેમાં તેમના પરિવારને એટલો જ આનંદ થતો જેટલો કે વિષ્ણુભાઈને.
જ્યારે વિષ્ણુભાઈને તેમનાં નિભાવ ખર્ચ માટેની નાણાકીય સગવડ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે વ્હોટસ અપમાં મુકેલા માત્ર એક જ સ્ટેટસ દ્વારા તેમને જોઈતી તમામ સુવિધાઓ લોકો પૂરી પાડતા હતા. જેમાં કૌશલ્યાબેન પટેલ, ઘનશ્યામભાઈ ઠક્કર, જલારામ ચીકીનાં પ્રકાશભાઇનું નામ પણ જણાવવામાં આવ્યું હતું. તેમના મુજબ આ વૃદ્ધોમાં ગણી શકાય તેટલી ખામી હોવા છતાં અસંખ્ય ખૂબીઓ રહેલી છે અને ભગવાન નારાયણે તેમને આ ખામીઓ ઢાંકવા માટેનું કાર્ય તેમને સોંપ્યું છે. જે પૂર્ણ થતા આ લોકોની ખૂબીઓ ઉજાગર થશે. તેમના મતે આ કાર્યને પરોપકાર ન માની, માત્ર ફરજ ગણી દેશના દરેક નાગરિકે આવી સેવાઓ કરવી જ જોઇએ. અને લોકો કરે પણ છે. કારણકે શૂન્યમાંથી આટલું સર્જન કરવામાં લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે. તેમના મતે હાલ સુધી આશરે તેમણે આ સેવા પાછળ રૂ. ૫૦ લાખનો ખર્ચ કર્યો છે. જે સમાજના લોકોના સાથ વિના સંભવ જ ન હતું. અને હજુ પણ સગવડતાપૂર્ણ આશ્રમ બનાવી આવા લોકોની સારી રીતે સંભાળ રાખી શકે, તેવી પ્રાર્થના તેઓ ભગવાન નારાયણ પાસે સતત કરતા રહે છે.
આ પણ વાંચો : વિદેશી મહેમાનોની પરોણાગતમાં કયા સુધી ઝૂંપડપટ્ટી પર સફેદ પડદા નાખશો ?