વડનગર
રવિવારે પોતાના માદરે વતન વડનગર પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ મેડીકલ કોલેજનું ઉદઘાટન કર્યા બાદ જાહેર સભા સંબોધી હતી.પીએમ મોદીએ પોતાના વતન વડનગરના ભરપુર વખાણ કરતાં કહ્યું હતું કે આજે જે કાંઇ છું તે આ માટીના કારણે છું.મારા સંસ્કાર આ માટીની દેન છે.પોતાના જ ગામમાં સ્વાગત થાય તેનો આનંદ કંઈક અલગ જ હોય છે.
પોતાના વતન વિશે ભાવુક થતા વડાપ્રધાને કહ્યું કે શર્મિષ્ટા તળાવ વડનગરનો આત્મા છે અને તેનું સુશોભન અને કાળજી વડનગર તરફ પ્રવાસીઓને આકર્ષવામાં સફળ થશે. મને સૂચનો આવ્યા છે કે શર્મિષ્ટા તળાવમાં એક હેંગિંગ બ્રીજ હોવો જોઇએ.જો હેંગિંગ બ્રીજ બને તો ચાર ચાંદ લાગી જાય, બનાવવો છે, હેંગિંગ બ્રીજ બનશે તો તમને ગમશે, કોલેજ બની તો ગમી, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન બન્યુ તે ગમ્યું, આને વિકાસ કહેવાય, તમને વિકાસ ગમે છે, વિકાસ દેખાય છે, વિકાસ જોઇએ છે, તો તમારા શર્મિષ્ટા તળાવનું પણ કંઇક કરીશું.
પોતાના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું,વાંચો અંશો
-વડનગરવાસીઓએ મારુ સ્વાગત કર્યું છે, હું અપાર સ્નેહથી ગદગદ થયો છું.નતમસ્તક થઈને સૌને નમન કરું છું.
-આજે હું કંઈ પણ છું, તે આ માટીના સંસ્કાર છે, આ જ માટીમાં રમ્યો છું. વડનગરવાસીઓ માથુ ઊંચું કરીને ફરી શકે તેવું કામ કરીશ.
-અહીં વડનગરમાં ફર્યો જૂના મિત્રોને મળ્યો.અમુકના દાંત જતા રહ્યા છે અને આંખે દેખાતુ નથી.અહીંની જૂની યાદ તાજી થઈ ગઇ.
-વડનગરમાં બોદ્ધ ધર્મ સંકળાયેલો છે, વડનગરનું જૂનું નામ આનંદપુર હતું, તે વિગત ચીનમાંથી મળી છે.વડનગર વિશ્વ કક્ષાએ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
-ચીનના ફિલોસોફર દ્વારા લખાયેલી નોંધમાં વડનગરનો ઉલ્લેખ છે.
-અટલજીની સરકારમાં આરોગ્યની પોલીસી બનાવવામાં હતી, તે પછીની સરકારોએ હેલ્થની પોલીસી બનાવી નથી. ત્રણ વર્ષમાં કેન્દ્રમાં ભાજપની સરકાર આવી પછી આરોગ્યોની પૉલીસીમાં ફેરફાર કર્યા.
-પહેલા સ્ટેન્ટ લગાવવા માટે દોઢ લાખ ખર્ચો થતો. અમે સંશોધન કર્યું અને એ ઉત્પાદકો અને ઇમ્પોર્ટ કરનારાઓને બોલાવ્યા. સરકારે વાતચીત કરી, જે સ્ટેન્ટની કિંમત દોઢ લાખ હતી તે 40 ટકામાં મળી રહ્યાં છે.
-રસીકરણથી વંચિત બાળકોને રસી અપાશે, મિશન ઈન્દ્રધનુષને પોતાનું મિશન બનાવે
-ડૉકટરોને આહવાન કરું છું કે દર મહિનાની 9 તારીખે ગરીબ માતા પ્રસુતાની ટ્રીટમેન્ટ ફ્રી કરે અને દવાઓ મફત આપે.
-સ્વાસ્થ્યની ગેરંટી ડૉકટરો પર આધારિત નથી. ખાનપાન પર પણ નથી.સ્વાસ્થ્યની ગેરંટી સ્વચ્છતા પર આધારિત છે, દેશને સ્વચ્છ બનાવો અને નિરોગી રહો
-જે દવાઓ 100 રૂપિયામાં મળતી હતી તે 18-20 રૂપિયામાં મળે છે.
-ભોલેબાબાના આશીર્વાદમાં તાકાત હોય છે.2001થી મને ઝેર પચાવવાની તાકાત મળી છે.