- અમદાવાદના ઓઢવમાં સામૂહિક હત્યા કેસ
- આરોપી વિનોદ મરાઠીને પોલીસે કરી અટકાયત
- રાજ્ય બહાર થી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
- આરોપી વિનોદ મરાઠીએ કરી હતી 4 લોકોની હત્યા
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક જ પરિવારના 4 સભ્યોની સામુહિક હત્યા કરીને ફરાર આરોવી વિનોદ મરાઠીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. આ આરોપી વિનોદ મરાઠીને પોલીસે રાજ્ય બહારથી પકડી પાડ્યો છે. હાલ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યા કરવાના સમાચાર સામે આવ્યા છે, આ ચાર લોકોની સામુહિક હત્યા શહેર સહિત સમગ્ર દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં 4 લોકોની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. દિવ્ય પ્રભા મકાન નંબર 30 નો બનાવ સામે આવ્યો છે. વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાનો મૃતદેહ મળ્યો હતો. ચાર દિવસ અગાઉ આ પરિવારની હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘરના ચાર અલગ અલગ રૂમમાંથી મૃતદેહો મળી આવ્યા છે.
ઘરની બહાર ખુબ જ દુર્ગંધ મારતા પાડોશીઓએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે દરવાજો ખોલતા જ આભી બની ગઇ હતી. ઘરના ચાર રૂમમાં ચાર લોકોનાં મૃતદેહ પડ્યા હતા. જ્યારે ઘરનો મોભી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસ પ્રાથમિક તપાસમાં તો હત્યા ઘર કંકાસમાં થઇ હોવાનું માની રહી છે. જો કે ઓઢવ વિસ્તારમાં સામુહિક હત્યાકાંડથી ખળભળાટ મચી ગયો છે. પરિવારના સભ્યોને હથિયારના તિક્ષ્ણ ઘા મારીને હત્યા કરવામાં આવી છે. જો કે હથિયારના ઘા માર્યા બાદ બેભાનાવસ્થામાં જ તેમને છોડીને હત્યારો ફરાર થઇ ગયો હોવાનું અનુમાન છે. બેભાનાવસ્થામાં જ તમામ લોકો મોતને ભેટ્યા હોઇ શકે છે.