કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અમિત શાહ 26 અને 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આજે અમદાવાદના એસ.પી. રિંગરોડ સ્થિત ભાડજ સર્કલ પર ઔડા દ્વારા નિર્મિત ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 73 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલો આ બ્રિજ કાર્યરત થતા રોજના હજારો વાહનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ સિક્સ લેન બ્રિજની પહોળાઈ 27 મિટર છે. આ બ્રિજના નિર્માણથી ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રોડ પરિવહનની ઝડપ વધશે.
બ્રિજના લોકાર્પણ પ્રસંગે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશભાઈ બારોટ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.