- અમદાવાદમાં મહત્તમ બેઠકો કબ્જે કરવાનું ભાજપનું આયોજન
- નરોડા ગામથી ચાંદખેડા સુધી યોજાશે રોડ શો
- સત્તાવિરોધી લહેરને ખાળવામાં મદદરૂપ થાય છે પીએમનો રોડ શો
Gujarat election 2022માં બીજા તબક્કાનું મતદાન અમદાવાદમાં પાંચમી તારીખે થવાનું છે. અમદાવાદ શહેર અને જિલ્લા સહિત કુલ 21 બેઠકો અમદાવાદમાં છે. અમદાવાદની મોટાભાગની બેઠકોને આવરી લેતો રોડ શો વડાપ્રધાન મોદી દ્વારા આજે કરવામાં આવનારો છે. આ રોડ શો 50 કિ.મી. લાંબો હશે. વડાપ્રધાન મોદીએ કદાચ કોઈપણ ચૂંટણીમાં નહીં કર્યો હોય તેટલો લાંબો રોડ શો અમદાવાદમાં કર્યો છે.
પીએમ મોદીનો રોડ શો મોટાભાગની બેઠકોને આવરી લેશે. અમદાવાદમાં મોદીનો રોડ શો નરોડા ગામથી શરૂ થશે અને ચાંદખેડાએ પૂરો થશે. વડાપ્રધાન મોદી જ્યારે પણ રોડ શો કરે છે ત્યારે ભાજપની તરફેણમાં જબરજસ્ત વાતાવરણ સર્જાય છે જે ભૂતકાળમાં થઈ ચૂક્યું છે. તાજેતરમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાનના રોડ શોએ સત્તાવિરોધી લહેરને ખાળવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું મનાય છે. બીજા કોઈ જુએ કે ન જુએ પણ વડાપ્રધાન મોદી તો ગુજરાતની ચૂંટણીને તેમની 2024ની લોકસભા ચૂંટણીની સેમી ફાઇનલ તરીકે જ જુએ છે.
આજે પણ વડાપ્રધાન મોદી રોડ શો કરશે ત્યારે તેમની તરફેણમાં જબરજસ્ત વાતાવરણ થશે તે આજે ચાલતા મતદાનની સાથે બીજા તબક્કાના મતદાન પર પણ અસર પાડશે તેમ માનવામાં આવે છે. આ રોડ શો રાતે પોણા દસ વાગે ચાંદખેડામાં પૂરો થશે.
વડાપ્રધાન મોદી અને ભાજપના અમદાવાદના બધા ઉમેદવારો જનમેદનીનું અભિવાદન ઝીલશે. ગઈ ચૂંટણીમાં ભાજપને અમદાવાદમાંથી 21માંથી 15 બેઠક મળી હતી. ભાજપના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રોડ શો કર્યા હતા.
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ વડાપ્રધાન મોદીએ પ્રચારની ધુરા પોતાની હાથમાં સંભાળી લીધી છે. કોઈને પણ થાય કે ભાજપને આ ચૂંટણીમાં હરીફાઈ નથી તો પીએમ કેમ આ રીતે જબરજસ્ત તાકાત સાથે લડે છે. પણ વાસ્તવમાં ભાજપ આ ચૂંટણીમાં 140 બેઠકો એટલા માટે મેળવવા માંગે છે કેમકે તે રાજ્યસભામાં પણ આપબળે બહુમતી મેળવવા આતુર છે. હાલમાં તેણે સંસદ પછી રાજ્યસભામાં બહુમતી મેળવવા બીજા પક્ષો પર આધાર રાખવો પડે છે અને તેને તાબે થવું પડે છે. તેથી જે રાજ્યમાં ભાજપ મજબૂત છે તે રાજ્યમાં તેનું ફોકસ વધુને વધુ બેઠકો મેળવવા પર છે. આમ થાય તો જ લોકસભા અને પછી રાજ્યસભામાં તે પૂરી તાકાતથી કામ કરી શકે.
આ પણ વાંચો