Jamnagar/ જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડના સંચાલકોની આગમચેતીને લઈને નુકસાની થતી અટકી

જામનગર-કાલાવડ સહિતના તમામ માર્કેટીંગ યાર્ડમાં ચાર દિવસથી આવક બંધ રખાઇ: વરસાદ પણ નહીંવત

Gujarat Others

રજનીશ નાગડ – પ્રતિનિધિ, જામનગર

જામનગરઃ જામનગર શહેર-કાલાવડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. પરંતુ માર્કેટિંગ યાર્ડના સંચાલકોની આગમચેતીને લઈને નુકસાની થતી અટકી હતી. જોકે વરસાદ પણ નહીં વત પડ્યો છે.

જામનગર શહેર અને જિલ્લામાં પણ સૌરાષ્ટ્રની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. પરંતુ કમોસમી વરસાદને લઈને જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં કોઈ નુકસાની થયાના અહેવાલો મળ્યા નથી.

જામનગરના હાપા માર્કેટ યાર્ડ ઉપરાંત કાલાવડ માર્કેટિંગ યાર્ડ, જામજોધપુર અને લાલપુર માર્કેટિંગ યાર્ડ કે જ્યાં હવામાન ખાતા દ્વારા મળેલી આગાહીને પગલે મગફળી-કપાસ સહિતની જુદી જુદી જણસની આવકને ચાર દિવસ માટે બંધ રખાવાઇ હતી. જ્યારે યાર્ડમાં રાખવામાં આવેલો મગફળી,મરચા સહિતના જથ્થો પ્લેટફોર્મ પર અથવા તો સલામત રાખવામાં આવ્યો હતો, જેથી કમોસમી વરસાદના કારણે નુકસાનીના અહેવાલો મળ્યા નથી.

જોકે જામનગરમાં માત્ર સામાન્ય છાંટા પડ્યા હતા. કાલાવડ પંથકમાં વહેલી સવારે કરા સાથેનો છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. બપોર પછી વરસાદ રોકાઈ ગયો હતો, જેથી જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં નુકસાનીના કોઈ ખાસ અહેવાલો મળ્યા નથી.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીનો જથ્થો પ્લેટ ફોર્મની બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ તેને સંપૂર્ણપણે ઢાંકીને રખાયો હોવાથી તેમજ માત્ર સામાન્ય છાંટા પડ્યા હોવાથી કોઈ નુકસાની થઈ નથી.


જામનગર જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો 

જામનગર જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો