નવી દિલ્હીઃ સામાન્ય માનવીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર રાહત મળી શકે છે. કેન્દ્ર સરકાર આગામી સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર દસ રૂપિયા સુધીનો ઘટાડો કરી શકે છે. સરકારી ઓઇલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા અંગે વિચાર કરી શકે છે. સરકારી ઓઇલ કંપનીઓનો ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરના અંતે 75,000 કરોડનો નફો નોંધાવે તેમ માનવામાં આવે છે.
આ નફાને ધ્યાનમાં રાખતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે. આ ભાવઘટાડાના લીધે મોંઘવારીને અંકુશમાં લાવવામાં મદદ મળી શકે છે. સરકારી ફ્યુઅલ રિટેલર્સે એપ્રિલ 2022થી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી. હવે કંપનીઓએ પ્રાઇસિંગ રિવ્યુનો સંકેત આપ્યો છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે ઓઇલ કંપનીઓને પ્રતિ લિટર દસ રૂપિયાનું માર્જિન મળી શકે છે, જેનો ફાયદો હવે ગ્રાહકોને આપવામાં આવી શકે છે.
સૂત્રોએ સંકેત આપ્યો છે કે સરકારી ઓઇલ કંપનીઓને નાણાકીય વર્ષ 2023-24માં નોંધપાત્ર નફો રળ્યો છે. 2022-23ની તુલનાએ તેના નફામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના વેચાણ પર ઊંચા માર્કેટિંગ માર્જિનના લીધે ત્રણ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને પહેલા બે ક્વાર્ટરમાં નોંધપાત્ર ફાયદો થયો છે. હવે ત્રીજા ક્વાર્ટરમાં પણ સરકારી કંપનીઓ તગડો નફો કરે તેમ માનવામાં આવે છે. આના પગલે સરકારી ઓઇલ કંપનીઓ મહિનાના અંત સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પ્રતિ લિટર પાંચથી દસ રૂપિયા સુધીનો ઘટાડો કરવા વિચાર કરી શકે છે.
હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ)ને જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 5,826.96 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. જ્યારે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ને સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં 8,244 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ