@Mayur Joshi
Valsad News: વલસાડ જિલ્લાના વેલવાચ ગામ નજીક બે દિવસ પહેલા અર્ધ સળગેલી હાલતમાં મળેલી યુવતીના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે વલસાડ જિલ્લા LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
વલસાડ જિલ્લાના વેલવાચ ગામ નજીક બે દિવસ અગાઉ એક યુવતીની અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીની ઓળખ પારડીના લખમાપોર ગામની હસુમતી મહેશભાઈ પટેલ તરીકે થઈ હતી. જેનો મૃતદેહ વેલવાચ ગામની પાણીની ટાંકી નજીકથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. યુવતીનો મૃતદેહ અર્ધ સળગેલી હાલતમાં હતો. આથી આ યુવતીની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસની ટીમે FSL, ડોગ સ્કવોડ સહિતની મદદથી આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ યુવતી પૈસા લઈને આવું છું તેવું કહી ઘરેથી નીકળી હતી. મૃતક યુવતીના લગ્ન બાદ છુટાછેડા થયા હતા અને બે સંતાનોની માતા પણ છે. પરંતુ પોતાના ગામથી દૂર વેલવાચ ગામે તે અહીં કોની સાથે આવી કે કોણ તેને લાવ્યું ? વગેરે સવાલો ઉભા થઇ રહ્યા હતા. આથી વલસાડ જિલ્લાની પોલીસે કમકમાટીભર્યા મોતના રહસ્ય પરથી પડદો ઉઠાવવા મૃતક યુવતીના પરિવારજનો, સંબંધીઓના સંપર્કમાં રહેતા લોકોની પૂછપરછ કરવા સહિતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
તેમાં આરોપી સ્નેહલ પટેલની આગવી ઢબે પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જે મુજબ આરોપી સ્નેહલ દૂધ ડેરીમાં કામ કરતો હતો અને ગાયોની લે વેચનો ધંધો પણ કરતો હતો. દરમિયાન જ મૃતક હસુમતી પટેલના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ પ્રેમ સંબંધ બંધાયો હતો. અને આરોપી સ્નેહલ અવાર નવાર હસુમતી પટેલના ઘરે પણ મળવા જતો હતો. આ દરમ્યાન હસુમતીએ નવું ઘર બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. આથી આરોપી સ્નેહલે અલગ અલગ સમયે હસુમતીને ઘર બનાવવા મદદ પેટે 2 લાખ રૂપિયાથી વધુની મદદ કરી હતી. જોકે, ઘરનું કામ અધૂરુ હોવાથી મૃતકને વધુ પૈસાની જરૂર હતી. આથી તે ઘરેથી પૈસા લેવા જવું છું તેવું કહી નીકળી હતી અને વેલવાચ ગામ નજીક સ્નેહલ સાથે તેની મુલાકાત થઈ હતી.
આ દરમિયાન મૃતકે આરોપી પાસેથી રૂપિયા 80 હજારની માગ કરી હતી. પરંતુ આરોપી પાસે રૂપિયા નહીં હોવાથી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આથી આવેશમાં આવી અને આરોપી સ્નેહલે હસુમતીની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ પોતાના વાહનમાંથી પેટ્રોલ ગાડી અને હસુમતીના મૃતદેહને સળગાવી પુરાવાનો નાશ કરવા પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્નેહલ પટેલ નામની અટકાયત કરી હતી. પોલીસની કડક તપાસ બાદ સ્નેહલ પટેલે જ મૃતક હસુમતીની હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. આમ ગણતરીના કલાકોમાં જ વલસાડ એલસીબી પોલીસે આરોપીને ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શ
આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શન
આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી/અખિલેશ યાદવે પોસ્ટ શેર કરી ‘SP અને RLDએ કર્યું ગઠબંધન, બંને પાર્ટીના કાર્યકર્તાઓને ક્ષેત્રના વિકાસ માટે સાથ આપવા કરી અપીલ