World News : દેવાધિદેવ પ્રભુ શિવજીના અર્ધાંગિની અખંડ સ્વરુપા કુળદેવી ઉમિયા માતાજીના અમેરિકાના નેશવિલ ખાતે 23 એકર જમીન પર બનાવવામાં આવેલા ભવ્યાતિભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કાઉન્ટડાઉન શરુ થઈ ચૂક્યું છે. અમેરિકાની ધરતી પર મા ઉમિયા માતાજીના પ્રચંડ જયઘોષ થઈ રહ્યા છે. હજારો કડવા પાટીદાર પરિવારો આનંદ, મંગલ અને ઉત્સવ ઉજવવા થનગની રહ્યા છે.
નેશવિલ ખાતેની 23 એકર વિશાળ જમીન પર મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ માટે પ્રમુખ અશોક પટેલ (જેક),ચેરમેન સતીષ પટેલ, મંત્રી અશોક પટેલ, કારોબારી સભ્યો અને ફાઉન્ડીંગ ટ્રસ્ટીઓની સતત આઠ વર્ષની તનતોડ મહેનતના પરિણામે અમેરિકાની ધરતી પર આઠમા શિખરબદ્ધ મંદિરના નિર્માણ કાર્યને પ્રચંડ સફળતા મળી છે.
નેશવિલ મંદિરના પ્રમુખ અશોક પટેલ (જેક),સતીષ પટેલ(ચેરમેન)મંત્રી અશોક પટેલ કહે છે કે વર્ષ 2015ના ઓક્ટોબર માસમાં નવરાત્રિ પર્વની ઉજવણી કરાતી હતી,તે સમયે મા કુળદેવી ઉમિયા માતાજીના ભવ્ય મંદિર નિર્માણનો વિચાર રજુ કર્યો હતો. હજારો પાટીદાર પરિવારોએ મંદિર નિર્માણ કરવા માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો. મા ઉમિયા માતાજીના ભવ્ય મંદિર નિર્માણના સંકલ્પને સાકાર કરવા અને પાટીદાર પરિવારોને એકત્રિત કરવા માટે જ્યોર્જિયાના મેક્કનથી જ્યોતિરથને નેશવિલ લાવ્યા હતા. આ જ્યોતિરથનું પાટીદાર પરિવારોએ ઉમળકાભેર સ્વાગત કરી દાનનો ધોધ વહાવ્યો હતો.
કડવા પાટીદારોના ઉ્ત્સાહના કારણે ફાઉન્ડીંગ ટ્રસ્ટી અને કારોબારીના સભ્યોની ટીમ તૈયાર કરી હતી.નેશવિલ નજીક 23 એકર જેટલી વિશાળ જગ્યા મંદિર નિર્માણ માટે પસંદ કરીને ખરીદી કરી હતી. ઓક્ટોબર 2018માં પવિત્ર જમીન પર ભૂમિપુજન કાર્યક્રમ યોજ્યો હતો. પ્રથમ નવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી મા કુળદેવી ઉમિયા માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા અને શ્રધ્ધા ધરાવતા કડવા પાટીદારોનો મંદિર નિર્માણ માટેનો દ્રઢ સંકલ્પ સાકાર થઈ રહ્યો હતો. પવિત્ર જમીન પર ઓક્ટોબર 2023માં પ્રથમવાર ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન સફળતાપૂર્વક કરાયું હતું
10 ઓક્ટોબર 2023ના રોજ યુએસ ગવર્નમેન્ટ દ્વારા પવિત્ર ધરતી પર મંદિર નિર્માણ કરવા અને ધાર્મિક કાર્ય કરવા માટે ટેમ્પરરી સર્ટિફિકેટ ઓફ ઓક્યુપાઈ મળતાં ઉત્સાહમાં વધારો થયો હતો. 4 જુન 2024ના રોજ ફાઈનલ સર્ટીફિકેટ ઓફ ઓક્યુપાઈ મળ્યું હતું. મા કુળદેવી ઉમિયા માતાજીની અસિમ કૃપા અને આશીર્વાદના કારણે અઢળક કમાણી કરનાર કડવા પાટીદારોએ ભવ્ય મંદિર નિર્માણ કરવા માટે કોઈ કચાશ રાખી નથી. મન મૂકીને તેમણે દાનનો ધોધ વહાવ્યો છે. 9 વર્ષની તનતોડ મહેનત ઉપરાંત 100 કરોડના ખર્ચે શિખરબદ્ધ મંદિરના નિર્માણનું કાર્ય પુરુ થયું છે.
આ મંદિર 23 એકર એટલે કે 35 હજાર સ્ક્વેરફિટ જમીન પર ભવ્ય મંદિર અને હોલનું બાંધકામ કરાયું છે. નયનરમ્ય અને અદ્દભુત કલાકોતરણી કરવામાં આવી છે. મા કુળદેવી ઉમિયા માતાજીની મુખ્ય પ્રતિમાની સ્થાપના સાથે ગણેશજી, મા જગદંબા અંબાજી માતાજી, રામસીતા, હનુમાનજી, શિવ-પાર્વતીજીની દિવ્ય અલૌકિક મૂર્તિઓની સ્થાપના સાથે શિવલિંગની પણ સ્થાપના કરાશે. વૈદિક મંત્રોચ્ચાર સાથે નવચંડી મહાયજ્ઞ કરવામાં આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નેશવિલ ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા પહોંચશે. જેમનું 22મી તારીખે ભવ્ય સન્માન કરવામાં આવશે. ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના મિડિયા કન્વીનર જ્યોતિ પટેલના જણાવ્યા અનુસાર ચંદુભાઈ પટેલ (કેવીસી,મહામંત્રી) દિવ્ય જ્યોત લઈને નેશવિલ પહોંચ્યા છે. ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, સી. કે. પટેલ સહિતના અગ્રણીઓ નેશવિલ પહોંચશે.
આ પણ વાંચો:PM મોદીએ શ્રીનગરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રાષ્ટ્રને સંદેશો પાઠવ્યો
આ પણ વાંચો:દાળમાં ગરોળી પડી, ઘરના 4 લોકોએ ખૂબ જ ઉત્સાહથી ખાધી અને પછી હોસ્પિટલ પહોંચ્યા