Vav: વાવ વિધાનસભાની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ હતી. તેનું કારણ એ હતું કે ગેનીબહેને ભાજપને હરાવીને જ્યારથી આ બેઠક જીતી હતી ત્યારથી આ બેઠક ભાજપ અને કોંગ્રેસ કરતાં ગેનીબહેન અને શંકર ચૌધરી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ માનવામાં આવતી હતી.
ગેનીબહેને શંકર ચૌધરીને હરાવ્યા તેના પછી શંકર ચૌધરીએ આ બેઠકને તેમના માટે વટનો સવાલ બનાવી દીધો હતો. તેથી આ બેઠક પર ભલે ભાજપના સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત લડતા હોય, પણ વાસ્તવમાં તો આ ગેનીબહેન અને શંકર ચૌધરી વચ્ચેનો જંગ હતો. ભાજપે આ બેઠક જીતતા શંકર ચૌધરીએ ચોક્કસપણે તેમની મૂછો પર તાવ દીધો હશે. આમ શંકર ચૌધરીએ વાવ પર વિજયી સ્મિત ફરકાવ્યું છે.
હવે શંકર ચૌધરીનું આના પછીનું આગામી ધ્યેય વાવની બેઠક પર સરસાઈમાં ઉત્તરોતર વધારો કરતાં જવાનું રહેશે તે અહીંથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. શંકર ચૌધરીએ આ બેઠક જીતવા માટે ખાસ્સી જહેમત ઉઠાવી હોવાનું કહેવાય છે. ફક્ત મોટી-મોટી જનસભાઓ જ નહી, પરંતુ મતવિસ્તારના ગામડાઓ દીઠ ખાટલા બેઠકો પણ ભાજપના કાર્યકરોએ કરી હોવાનું માનવામાં આવે છે.
તેની સામે કોંગ્રેસનો બધો આધાર ગેનીબેન અને તેમની જાતિ પર હતો. તે ખોટો પણ ન હતો, તેઓએ કોંગ્રેસને જ મત આપ્યા, પરંતુ ગેનીબેનના પિયર ભાભરના મતદારોએ તેમને આ વખતે દગો દીધો લાગે છે. ભાભરની મતપેટી ખૂલતા જ સ્વરૂપજી ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત પરની ખાસ્સી સરસાઈ કાપી દીધી હતી. તેના પછી જ તે જીતની લગોલગ પહોંચ્યા હતા.
વાવની પછડાટ પછી ગેની બહેન જોકે હાર માને તેવા નથી. તે પહેલાની જેમ જ પ્રજાને સમર્પિત રહ્યા છે અને રહેવાના છે. પણ ચૂંટણીની વ્યૂહબાજીમાં ગેનીબહેનની લોકપ્રિયતા કામે આવી નથી. જો અપક્ષ તરીકે ભાજપના જ બળવાખોર માવજી પટેલ ન હોત તો ભાજપે કદાચ આટલી મહેનત કરવી પડી ન હોત. માવજી પટેલને 21 હજારથી પણ વધારે મત મળ્યાં છે.
આ પણ વાંચો: પાઘડીની ઇજ્જત રાખજો, ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોરે સમાજને કરી વિનંતી
આ પણ વાંચો: વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના સ્વરૂપજી ઠાકોરને મળી ટિકિટ
આ પણ વાંચો: ગેનીબેનને કહેજો કે હવે તો હદ હોય: ભૂરાજી ઠાકોર
