Mahesana News: મહેસાણાની ફેબહિંદ કંપનીમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનામાં બે શ્રમિકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય છ ગંભીર રીતે ઇજા પામ્યા છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલા મંડાલી ગામની જોડે આ ફેબહિંદ કંપની આવેલી છે.
ફેબહિંદ કંપનીમાં ક્રેન બંધ પડી ગઈ હતી અને શ્રમિકો તેને ધક્કો મારી રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી. આ દરમિયાન બંધ પડેલી ક્રેનનો ઉપરનો ભાગ ઉપરથી પસાર થતાં હાઇટેન્શન વાયરને અડી ગયો હતો. તેના કારણે ક્રેનને ધક્કો મારતા મજૂરોને જોરદાર વીજકરંટ લાગ્યો હતો.
આ દુર્ઘટનામાં બિહારના બે યુવાનો દીપક અશોક ચૌધરી અને મિતરંજનકુમાર ચૌધરીનું કરંટ લાગવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય છ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓની હાલત જોતાં દુર્ઘટનાનો મૃત્યુઆંક વધે તો પણ આશ્ચર્ય નહીં થાય.
આ ઘટનાની જાણ થવાના પગલે પોલીસ ટુકડી આવી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને મૃતકોના સ્વજનોનો પણ સંપર્ક સાધ્યો છે. તેની સાથે હાઇટેન્શન વાયરના સંપર્કમાં ક્રેન કઈ રીતે આવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ આખી ઘટના દર્શાવે છે કે ગુજરાતમાં વધતા જતાં ઔદ્યોગિક અકસ્માત છતાં પણ શ્રમિકોની સુરક્ષાના મોરચે કંપનીઓ તથા સરકારનું તંત્ર ઠેરનું ઠેર રહ્યું છે. તેના માટે કોઈ કાર્યવાહી જ કરવામાં આવતી નથી. મહેસાણા જિલ્લામાં એક જ દિવસમાં શ્રમિકોના મોતની આ બીજી ઘટનાએ શ્રમિક વર્તુળોમાં ચિંતાની લાગણી ફેલાવી દીધી છે. આવું ચાલતું રહ્યુ તો કંપનીઓને કામ માટે શ્રમિકો મળવા મુશ્કેલ થઈ જશે તેવો ગણગણાટ મહેસાણાના ઔદ્યોગિક વર્તુળોમાં ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ Mehsana news/મહેસાણા APN સલ્ફર પ્લાન્ટમાં ભીષણ આગ: બે શ્રમિકોનું દુઃખદ મોત, બે ઘાયલ
આ પણ વાંચોઃ Mahesana News/મહેસાણામાં ONGC કોન્ટ્રાક્ટના નામે 11 બોલેરો ગાડીઓથી 33 લાખની છેતરપીંડી કરાઇ!
આ પણ વાંચોઃ Palanpur News/પાલનપુર-મહેસાણા પર આવેલા થ્રી એલિવેટેડ બ્રિજમાં મસમોટી તિરાડ, આબરૂ બચાવવા યુધ્ધના ધોરણે કામ શરૂ
