Gujarat News: ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ છેલ્લા 72 કલાકમાં આખી મોસમનો વરસાદ પડવાથી નુકસાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીને ઈ-મેઈલ કરી તાત્કાલિક માગ કરી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં અતિવૃષ્ટિ થવાથી ઘેડ પંથકના ખેડૂતોને સ્પેશિયલ પેકેજ આપવાની પત્રમાં માગ કરાઈ છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર, વંથલી, કેશોદ, માંગરોળ તાલુકાઓ અને પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના એમ પાંચ તાલુકાના 65 થી 70 ગામો કે જે ઘેડ પંથકથી ઓળખાય છે તે પૈકી ઓછામાં ઓછા 40 થી 45 ગામો છેલ્લા 72 કલાકથી સંપર્ક વિહોણા છે કે ટાપુમાં ફેરવાઈ ગયા છે. વધુમાં, ખેડૂતોને પાક નુકસાની, જમીન ધોવાણ સામે તાત્કાલિક વળતર આપવામાં આવે, માલધારીઓને થયેલા પશુઓના નુકસાની સામે પણ વળતર ચૂકવવામાં આવે. ગુજરાત અને કેન્દ્રમાં “ડબલ એન્જીનની સરકાર” છે તો હજુ સુધી ખેડૂતો તરફ કેમ જોવામાં આવ્યું નથી? ચેરમેને “ગુજરાત મોડેલ” પર પણ સવાલો ઉઠાવ્યા છે.
લોકોને વિશ્વગુરુના ખોટા સપના બતાવવાને બદલે ઘેડ પંથકનો પ્રશ્ન તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. પત્રમાં લખ્યું છે કે, છેલ્લા 72 કલાકમાં સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં સરેરાશ 101%, પોરબંદર જિલ્લામાં 93% જૂનાગઢ જિલ્લામાં 84% વરસાદ નોંધાઇ ચુક્યો છે જેના કારણે ખેડૂતોને પાક નુકશાની, જમીન ધોવાણનું ખૂબ મોટું નુકસાન થયું છે, માલધારીઓને પશુઓના જાનમાલનું નુકસાન વેઠવું પડ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા, ઘરમાં રહેલી તમામ વસ્તુઓ ખરાબ થઈ હતી. બજારમાં પાણી ભરાઈ જવાના કારણે વેપારીઓને પોતાની દુકાનો ગોડાઉનમાં રહેલો લાખો રૂપિયાનો માલ સામાન પલળી જવાના કારણે ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત મોડેલનો પ્રચાર આખા ભારતમાં કરી રહ્યા છીએ ત્યારે 40 – 45 ગામો એક અઠવાડિયા સુધી સંપર્ક વિહોણા રહે, ટાપુમાં ફેરવાઈ ગયેલા રહે અને આપણે ડબલ એન્જીન સરકાર લાચાર બની રહેવા સિવાય કશું જ ન કરી શકીએ તો આ તે સરકારની કેવી નબળાઈ? ભ્રષ્ટ તંત્રના કારણે નાગરિકોને જાનમાલનું નુકસાન થાય, 40 – 45 ગામો દુનિયાથી સંપર્ક વિહોણા થઈ જાય એ ભ્રષ્ટ તંત્રની સૌથી મોટી ફરિયાદ છે.
ચેરમેને અનુરોધ કર્યો છે કે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ જિલ્લામાં જ્યાં જ્યાં પાક નુકસાની, જમીન ધોવાણ, માલધારીઓ, વેપારીઓ, નાગરિકોને નુકસાની થઈ છે તેનો તાત્કાલિક સર્વે કરવામાં આવે. થયેલ નુકસાનીનું તાત્કાલિક વળતર આપવામાં આવે. એટલું જ નહીં, ઘેડ વિસ્તારમાં જે કાયમીનો પ્રશ્ન છે તેનો નિકાલ કરી ચાલુ વર્ષે થયેલી નુકશાની સામે સ્પેશિયલ પેકેજની 72 કલાકમાં જાહેરાત કરવામાં આવે. જો આમ નહીં થાય, તો આ વિસ્તારના લોકો, ખેડૂતોને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે લડત લડશે તેવી આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણની લાલચે વેપારીએ પડાવ્યા 1.75 કરોડ રૂપિયા
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
