દિલ્હીના જૂની સીમાપુરી વિસ્તારમાં મંગળવારે સવારે ત્રણ માળની ઇમારતમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પોલીસે કહ્યું કે તેમને તમામ મૃતકોના મૃતદેહ ટેરેસ પર મળ્યા છે.
મળતી માહિતી મુજબ આજે સવારે 4 વાગ્યે આગ લાગી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.મૃતકોની ઓળખ હોરી લાલ, રીના, આશુ અને રાધિકા તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામના મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. આગની જાણ થતા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે લગભગ બે અઠવાડિયા પહેલા ઉત્તર પૂર્વ દિલ્હીના હર્ષ વિહારમાં પેપર રોલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડને આગને કાબૂમાં લેવા માટે ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ ન હતી. આ પહેલા પૂર્વ દિલ્હીના શકરપુર સ્થિત એક ગેસ્ટ હાઉસમાં આગ લાગી હતી.