જાફરાબાદના બાબરકોટ નજીક ફરી સિંહણે હુમલો કર્યો છે. સવારે 3 વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કર્યા બાદ એકવાર ફરી સિંહણ વિફરી છે અને ફરી ત્રણ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત કર્યા હતા.
સિંહણે વહેલી સવારે પ્રથમ વનવિભાગના ટ્રેકર ઉપર હુમલો કર્યોં હતો. ત્યારે બાદ SRD ના બે જવાનો ઉપર હુમલો કર્યો હતો જેમાં SRD ના જવાનએ લાકડી વડે બહાદુરી બતાવી સામનો કરતા તેમનો જીવ બચ્યો હતો. એસઆરડીના જવાનને રાજુલા ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. સવારે કુલ ત્રણ વ્યક્તિઓ ઉપર સિંહણે હુમલો કર્યાની ઘટના સામે આવી હતી. આ બનાવ પછી વિભાગ દ્વારા પાંજરાઓ ગોઠવી સિંહણને પકડવાની કવાયત હાથધરાઈ છે. પરંતુ બપોર બાદ રસ્તે જતા 3 રાહદારીઓ પર સિંહણે ફરી હુમલો કર્યો હતો.
સિંહણને પકડવા સવારથી વનવિભાગ કવાયત કરી રહ્યું છે પરંતુ સિંહણ વનવિભાગના રેસ્ક્યુ ઓપરેશનને હાથ તાળી આપીને 3 વ્યક્તિઓને લોહીલુહાણ કર્યા છે. આ ત્રણેય ઇજાગ્રસ્તોને જાફરાબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જાફરાબાદના બાબરકોટ રસ્તાઓ પર ખુલ્લા વાહનોમાં ન નીકળવાની વનવિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીએ સિંહણ ન પકડાઈ ત્યાં સુધી એ રસ્તે ન નિકળવાનો પણ અનુરોધ કર્યો છે. ધારસભ્ય અંબરીશ ડેરે વનમંત્રી ને મોબાઈલ કોલ કરીને વાકેફ કર્યા હતા. અને બાબરકોટ નજીક ખુલ્લા વાહનોમાં હાલ સિંહણ ન પકડાઈ ત્યાં સુધી લોકોએ ન નીકળવાની જાહેર અપીલ કરી છે.
વનવિભાગ, પોલીસ દ્વારા હુમલાખોર સિંહણ ના વિસ્તાર ને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બાબરકોટ રસ્તા પર ખુલ્લા વાહનો ન નીકળે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
જોકે સિંહોના હુમલાઓની ઘટના બહુ ઓછી બનતી હોય છે ત્યારે આ સિંહણને કોઈ ભેદી બીમાર હોવાની આશંકાઓ સેવાઇ રહી છે. જેને લઈને આજે એકજ દિવસમાં કુલ 6 લોકો ઉપર સિંહણે હુમલો કર્યાની ઘટના સામે આવી છે અને આ ઘટનાથી પંથકમાં ભય ફેલાયો છે.