રાજય માં એક તરફ કોરોના ના કેસો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમની સાથે એક એવો રોગ પણ છે જે ખુબ જ ભયંકર છે .જો તમે કોરોનાથી બચી ગયા, તો પણ મ્યુકોરમાઈકોસિસ તમને નહિ છોડે. આ બીમારી કોરોના કરતા પણ ખતરનાક સાબિત થઈ રહી છે. તેમાં ધીરે ધીરે હવે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજય ના અનેક મોટા શહેરોમાં આ રોગ નું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. . ત્યારે રાજકોટ ના તંત્રએ આ માટે પાણી પહેલા પાળ બાંધી દીધી છે. રાજકોટ સિવિલમાં કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે આજથી અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ છે. કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે, જેથી તેઓ આ ગંભીર બીમારીનો શિકાર ન બને. સિવિલમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના દર્દીઓના સાજા થયા બાદ આ ગંભીર બીમારી જોવા મળી રહી છે. તેના કેસ પણ વધી રહ્યાં છે. તેથી રાજકોટનું તંત્ર સતર્ક બન્યું છે.
રેમડેસિવિર બાદ હવે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનની પણ માર્કેટમાં અછત જોવા મળી છે. રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શનની અછત સામે આવી છે. સતત કેસ વધવાથી આ બીમારીમાં ઉપયોગી એવા એમફોમોલ ઇન્જેક્શન ની અછત સર્જાઈ છે. તેનુ ઈન્જેક્શન 1700 રૂપિયાનું આવે છે.