છેલ્લા કેટલાક વર્ષોમાં વિધાર્થીઓમાં આત્મહત્યાનું પ્રમાણ વધી ગયું છે. અવરણવાર વિધાર્થીઓના આત્મહત્યાના બનાવો સામે આવતા રહે છે. ત્યારે હાલમાં રાજકોટ ખાતે રહેતા અને M. tech કરતાં વિધાર્થીએ આત્મહત્યા કરતાં શોકની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટની મારવાડી કોલેજમાં અભ્યાસ કરતાં પાર્થ પંડ્યા નામના વિધાર્થી આત્મહત્યા કરી હતી. પાર્થ રાજકોટની મારવાડી કોલેજની હોસ્ટેલમાં રહી M.Techનો અભ્યાસ કરતો હતો. તે મૂળે પોરબંદરનો રહેવાસી હતો. અને તેને હોસ્ટેલ કેમ્પસમાં જ આત્મહત્યા કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. કુવાડવા પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરતા વિદ્યાર્થીએ વર્કલોડના લીધે અંતિમ પગલું લીધું હોવાનું કારણ સામે આવ્યું છે.
પાર્થ પંડયાએ આત્મહત્યા કરતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હોસ્ટેલમાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પાર્થની આત્મહત્યા ને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે નોધનીય છે કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં MBBSમાં અભ્યાસ કરતી બીજા વર્ષ ની વિધાર્થીની આસ્થા પંચાસરા એ પણ ગત એપ્રિલ 2022 માં હોસ્ટેલના ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. જેમાં પેપર ખરાબ ગયું હોવાની વાત સામે આવી હતી. ઘટના સ્થળ પરથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. તો ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષક અને 4 છાત્રો દ્વારા છેડતીનો ભોગ બનેલ વિધાર્થિનીએ જીવન ટૂંકાવ્યું હતું.
રાજ્યમાં 2021માં 8,789 લોકોએ આત્મહત્યા કરી લીધી
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં 2020માં 8,050 લોકોએ આત્મહત્યા કરી હતી. જ્યારે 2021માં 8,789 લોકોએ આત્મહત્યા કરી હતી. એટલે કે, રાજ્યમાં એક વર્ષમાં આત્મહત્યાના પ્રમાણમાં 9 ટકાનો વધારો થયો.