Morbi News: મોરબીના હળવદમાં રાયસંગપુર ગામે હત્યાનો મામલો સામે આવ્યો છે. એક જ્ઞાતિના બે જૂથ વચ્ચેની અથડામણમાં આ હત્યાનો બનાવ બન્યો. જ્ઞાતિજૂથની અથડામણ દરમ્યાન છરી વડે હુમલો કરતા એક શખ્સનું મોત નિપજયું અને જયારે એકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. આ બનાવમાં હુમલો કરવા આવેલ એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ હળવદ તાલુકાના રાયસંગપુર ગામે 2 જુલાઈના રોજ મોડી રાત્રે એક જ્ઞાતિના બે જૂથ વચ્ચે અથડામણ થઈ. આ ઘટનામાં કૌટુંબિક બે ભાઈઓએ જ બે ભાઈ પર છરીના ઘા ઝીંકયા. રાયસંગપર ગામમાં રહેતા 23 વર્ષીય શામજીભાઈ બાબુભાઈ લોલાડીયા અને 18 વર્ષીય ગોપાલભાઈ બાબુભાઈ લોલાડીયા રાત્રે પોતાના ઘરે સૂતા હતા ત્યારે મોડી રાત્રે તેમના જ કૌટુંબિક ભાઈઓ વિપુલભાઈ કરમણભાઈ અને ગૌતમભાઈ તેમના ઘરે ધોકા અને છરી લઈને ધસી આવ્યા હતા. ચારેય શખ્સ વચ્ચે ઝપાઝપી થઈ જેમાં આરોપીઓએ શામજીભાઈ અને ગોપાલભાઈ પર હુમલો કરતા શામજીભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને હુમલો કરનાર ગોપાલભાઈ પણ ઇજાગ્રસ્ત થતા તેઓને પણ સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી.
બીજી તરફ આ બનાવમાં હુમલો કરવા આવેલ આરોપી વિપુલભાઈ કરમભાઈ ઉર્ફે કાળુભાઈ લોલાડીયાને પણ માથાના ભાગે ઈજા પહોંચતા હળવદ સરકારી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલી રહી છે. કૌટુંબિક ઝગડાનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. હત્યાને પગલે હાલમાં પોલીસ રાયસંગપર ગામે પહોચી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ,આઠ જિલ્લામાં રેડ એલર્ટ
આ પણ વાંચો: અમદાવાદ એસ.પી. રીંગ રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનાસ્થળે 3નાં મોત