નવી દિલ્હી,
દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો છે. સાથે આપ પાર્ટીએ બીજેપીને સખત ટક્કર આપવા દિલ્હીની બધી 7 બેઠકો પર ચુંટણી લડવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીનાં સીએમ કેજરીવાલે કહ્યુ છે કે, 2019ની આ ચુંટણી ભારત અને બંધારણ બચાવવાની ચુંટણી છે.
દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે, જે સરકાર દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે તેને અમારી પાર્ટી સમર્થન કરશે. તેમણે કહ્યુ કે, બીજેપી અલ્પસંખ્યકોને બહારથી આવેલા માને છે, જ્યારે અમારો લક્ષ્ય તેમને સુરક્ષા પ્રદાન કરવાનો છે. વધુમાં કેજરીવાલે કહ્યુ કે, ભારતમાં વિવિધતાઓ હોવા છતા એક છે, છેલ્લા 4 હજાર વર્ષોથી ભારતની આ જ શક્તિ રહી છે. આજે આપણી સંસ્કૃતિ અને એકતા પર પ્રહાર થઇ રહ્યો છે. આજે પાકિસ્તાન ઇચ્છી રહ્યુ છે કે ભારતનાં ટુકડા થઇ જાય. બીજેપી પણ પાકિસ્તાનનાં આ એજન્ડા પર કામ કરી રહી છે.
કેજરીવાલે કહ્યુ કે, આજે દેશનાં બંધારણ પર ખતરો દેખાઇ રહ્યો છે, આ ચુંટણી તેને બચાવવા માટેની છે. સાથે કેજરીવાલે કહ્યુ કે, દિલ્હી પૂર્ણ રાજ્ય બનશે તો પોલીસ જનતા પ્રત્યે જવાબદેહ રહેશે, જેના કારણે મહિલાઓ સુરક્ષિત રહેશે.