ગુજરાત રોડ સેફટી ઓથોરિટી, ગાંધીનગર અને આર.ટી.ઓ., ભાવનગરના સંયુક્ત ઉપક્રમે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા એક માર્ગ સલામતી સેમિનારનું આયોજન ‘એન્જિનિયરિંગ એન્ફોર્સમેન્ટ એન્ડ એજ્યુકેશન’ વિષય પર અટલ ઓડિટરિયમ ખાતે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાત રોડ સેફ્ટી કમિશ્નર લલિત પાડલીયાએ પોતાના વક્તવ્યમાં રોડ સેફટીનાં નિયમોનું ચુસ્ત પાલન કરવાં પર ભાર મૂકીને જણાવ્યું કે, માર્ગ અકસ્માતમાં થતાં મૃત્યુનાં આંકડા અંગે ચિંતા વ્યક્ત કરવાં જેવી છે. જેટલાં લોકોના મોત રોગથી નથી થતાં તેના કરતાં વધુ મોત અકસ્માતથી થાય છે.
અકસ્માતથી અવસાન પરિવાર પર શી આફત આવી પડે છે તેના વિશેની દૂરોગામી અસરો વિશે વિચારીએ કે આપણને કેટલું બધું સામાજિક નુકશાન થાય છે. રોડ અકસ્માતમાં ઘરના મોભીનું અવસાન થતાં જે- તે પરિવારની હાલત અત્યંત દયનીય બની જતી હોઈ છે. તેમણે જણાવ્યું કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરીને આપણે આપણી સલામતી આપણે સુનિશ્ચિત કરવાની છે. આ ઉપરાંત તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અકસ્માતની પહેલી કલાક ખૂબ જ મહત્વની હોય છે. તેમજ ગુડ સમારીટન યોજના હેઠળ અકસ્માતનો ભોગ બનનારને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનારને સરકાર તરફથી ઇનામ આપવામાં આવે છે એ અંગે માહિતી તેમણે આપી હતી. કલેક્ટર યોગેશ નિરગુડે ઉપસ્થિત તમામ લોકોને રોડ અને સેફટીનાં આ સેમિનારમાંથી શીખેલી વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા અનુરોધ કરી ટ્રાફિક નિયમોનું પાલન કરવાં નગરજનોને અપીલ કરી હતી. રોડ અકસ્માતના પરિણામો દૂરોગામી હોય છે ત્યારે ટ્રાફિકનાં નિયમો અંગે જાગૃતિ જ શ્રેષ્ઠ ઉપાય છે.
ભાવનગર પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રોન્ગ સાઈડમાં આવતાં વાહનો જીવલેણ સાબિત થતાં હોય છે. ૯૦% કિસ્સામાં ટ્રાફિક આવેરનેસ નહીં હોવાથી અકસ્માતો સર્જાતા હોય છે. આ ઉપરાંત તેમણે સ્પીડ બ્રેકરની સાઈડમાંથી વાહન કાઢી લેવાની માનસિકતા દૂર કરવાં અપીલ કરતાં કહ્યું કે, ટ્રાફિકની સામાન્ય સમજ તેમજ ધીરજ મોટા અકસ્માતમાંથી આપણને બચાવી શકે છે.
આ કાર્યક્રમમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના એન.એસ.એસ. કો-ઓર્ડિનેટર હિમલ પંડ્યા, માર્ગ અને મકાન અધિક્ષક એ.એન.મિસ્ત્રી, રોડ સેફ્ટી એક્સપર્ટ જે. વી. શાહ, અમિત ખત્રી, ડી.વાય.એસ.પી. ડી. ડી. ચૌધરી, ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટર આર. જે. રહેવર સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : આસામ પૂરમાં 54 લોકોના મોત : 18 લાખથી વધુ લોકો પ્રભાવિત