દેશમાં વધી રહેલા કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રા 2021 ને મુલતવી રાખવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથસિંહ રાવતે આ માહિતી આપી છે. સરકારે હાલમાં યાત્રા મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. કપાટનાં ખુલવા દરમિયાન, ફક્ત સંબંધિત રાવલ તીર્થ પુરોહિત અને પુજારી હાજર રહેશે. સંબંધિત જિલ્લા અને રાજ્યની બહારના લોકો પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. વિધિ-વિધાન સાથે માત્ર પુજારીઓ અને રાવલ જ કપાટ ખોલશે.
આપને જણાવી દઈએ કે ચારધામ યાત્રા 14 મેના રોજ યમુનોત્રી મંદિરના કપાટ ખોલવાની સાથે શરૂ થવાની હતી. ગયા વર્ષે પણ, ઉત્તરાખંડ સરકારે મે મહિનામાં કોરોના મહામારીને કારણે ચારધામ યાત્રા રોકી હતી. આ પછી, રાજ્ય સરકારે 1 જુલાઇથી ભક્તો માટે ચારધામ યાત્રા શરૂ કરી હતી. જુલાઇના અંતિમ સપ્તાહમાં રાજ્ય સરકારે અન્ય રાજ્યોના ભક્તોને અમુક શરતો સાથે ચારધામ યાત્રાની મંજૂરી આપી હતી.