વિશ્વાસ ભોજાણી , મંતવ્ય ન્યુઝ
65 દિવસ બાદ આજથી ભાવિકો માટે ખુલ્યા પૂજ્ય જલારામ બાપાની જગ્યાના મંગલ દ્વાર…
સરકારી નિયમોને આધીન શ્રદ્ધાળુઓએ કર્યા પૂજ્ય જલારામ બાપાના દર્શન…
પૂજ્ય જલારામ બાપાની જગ્યામાં ભાવિકો માટે અન્નક્ષેત્ર હાલ બંધ રહેશે…
સવાર સાંજ આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવામાં નહિ આવે…
પૂજ્ય જલારામ બાપાના દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધી રહેશે…
પૂજ્ય બાપાની જગ્યાનો મુખ્ય દ્વાર હજુ બંધ રહેશે…
કોરોનાની બીજી લહેરને લઈને સંક્રમણ વધે નહિ તે માટે 11 એપ્રિલે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ બાપાની જગ્યાના મંગલ દ્વાર સોશ્યલ ડિસ્ટન્સના સરકારી નિયમોને આધીન આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલા મુકાયા હતા.
‘દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ” સૂત્રને જીવનમંત્ર બનાવનાર પૂજ્ય સંતશ્રી જલારામબાપાની જગ્યા કોરોનાની બીજી લહેરને લઈને વધુ સંક્રમણ ન ફેલાઈ તે માટે 11 એપ્રિલના રોજ જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા દ્વારા દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવી હતી પરંતુ કોરોના સંક્રમણનું પ્રમાણ ઓછું થતા સરકાર દ્વારા 11 જૂનથી સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળોને ખોલવાના નિર્ણયને લઈને બંધ કરવામાં આવેલ પૂજ્ય જલારામ બાપાની જગ્યાના આજથી મંગલ દ્વાર 65 દિવસ બાદ ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા.
આજ સવારથી પૂજ્ય જલારામ બાપાની જગ્યાના મંગલ દ્વાર ખુલતાજ પૂજ્ય જલારામ બાપાના દર્શન કરવા માટે બહોળી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા, પૂજ્ય જલારામ બાપાના દર્શન માટે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલનની અને સેનિટેશનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વીરપુરમાં આવેલ માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનીટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ પૂજ્ય બાપાની જગ્યામાં પ્રવેશ મળશે. ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.
દર્શનનો સમય સવારે ૭ થી બપોરના એક વાગ્યા સુધી ત્યારબાદ એકથી ત્રણ વાગ્યા સુધી વિરામ અને ત્રણથી સાંજના સાત સુધી દર્શનાર્થીઓ દર્શન કરી શકશે તેમજ સવાર સાંજ આરતીમાં કોઈ દર્શનર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ તેમજ ભાવિકો માટે હાલ અન્નક્ષેત્ર બંધ રહેશે, વીરપુર આવતા ભાવિકો સરકારી નિયમોને આધીન આજથી પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી શકશે.