ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. એક અહેવાલ મુજબ ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલને એલોન મસ્કના માલિક બન્યા બાદ જ કંપનીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. એટલું જ નહીં તેમને કંપનીના હેડક્વાર્ટરની બહાર પણ કાઢી દેવામાં આવ્યા હતા.
એલોન મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. તેમણે શેર દીઠ $54.2ના દરે $44 બિલિયનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી. પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટના કારણે તેમની તે ડીલ હોલ્ડ પર મૂકાઇ હતી આ પછી, 8 જુલાઈના રોજ મસ્કે ડીલ તોડવાનું નક્કી કર્યું,જેની સામે ટ્વિટરે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ત્યારપછી ઓક્ટોબરની શરૂઆતમાં, મસ્કે પોતાનું વલણ બદલ્યું અને ફરીથી સોદો પૂર્ણ કરવા સંમત થયા. આ દરમિયાન ડેલવેર કોર્ટે 28 ઓક્ટોબર સુધીમાં સોદો પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. ઈલોન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.
ન્યૂઝ એજન્સી રોયટર્સે આ મામલામાં જોડાયેલા લોકોને ટાંકીને કહ્યું કે મસ્કે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને બહારનો રસ્તો બતાવ્યો. મસ્કએ તેના પર આરોપ લગાવ્યો કે તેણે તેને અને ટ્વિટરના રોકાણકારોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે ગેરમાર્ગે દોર્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે એલોન મસ્કની ટ્વિટર સાથે ડીલ પૂર્ણ થઈ ત્યારે અગ્રવાલ અને સેગલ ઓફિસમાં હાજર હતા. આ પછી તેને ઓફિસની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે, આ અંગે ટ્વિટર, એલોન મસ્ક કે કોઈ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે ટ્વિટરમાં એલોન મસ્કની એન્ટ્રી બાદ કંપનીના કર્મચારીઓની નોકરી જઈ શકે છે. વોશિંગ્ટન પોસ્ટે ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોને ટાંકીને જણાવ્યું હતું કે ટ્વિટર ખરીદ્યા પછી, મસ્ક કંપનીના 75 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.