ટોક્યો
ત્રણ દિવસ પહેલા જાપાનના ભારે વાવાઝોડા પછી ઉત્તરી ટાપુ હોક્કાઈડોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર ૬.૭ની હોવાનુ જાણવા મળ્યુ હતું. આ શક્તિશાળી ભૂકંપમાં ૪૦ લોકો માર્યા ગયા હોવાનું જાપાનના અધિકારી દ્વારા જાણવા મળ્યું છે. આ ભૂકંપના લીધે ઘણા લોકો લાપતા પણ થયા છે.
બચાવકર્તાએ તેમની કામગીરી ચાલુ કરી દીધી છે અને ભૂસ્ખલનના લીધે ઘરમાં ફસાઈ ગયેલા લોકોને શોધવાનું કામ કરી રહી છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ હોક્કાઈડોમાં ભૂકંપ બાદ થયેલ ભૂસ્ખલનના કારણે કેટલાક ઘર ધરાશાયી થઈ ગયા છે. અમેરીકાના જિયો સાયન્ટીફીક સર્વેક્ષણના અહેવાલ મુજબ ભૂકંપનુ એપી સેન્ટર હોક્કાઈડોના મુખ્ય શહેર સપ્પોરોથી ૬૮ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં હતુ.
આ ભૂકંપના લીધે વીજળી અને ટ્રેનની સેવા પણ ખોરવાઈ છે. હોક્કાઈડો વિસ્તારમાં મેટ્રો સર્વિસ પણ પ્રભાવિત થઈ છે. વડાપ્રધાન શિન્ઝો એબે એ ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.
ભયંકર જેબી વાવાઝોડા પછી ભૂકંપના લીધે જાપાનમાં ઘણું નુકશાન થયું છે. અત્યાર સુધી મૃત્યુઆંક વધીને ૪૦ થઇ ગયો છે. તો બીજી તરફ ભૂસ્ખલનના લીધે ઘણા લોકો લાપતા છે. તમને જણાવી દઈએ કે વાવાઝોડાના લીધે ૧૦ લોકો મૃત્યુ પામ્યા હતા.
ભૂસ્ખલનના લીધે મુખ્યત્વે પર્વત વિસ્તારની વચ્ચે રહેલા વસવાટને ભારે અસર થઇ છે. હેલીકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરીને લોકોને સલામત સ્થળે લઇ જવાની કામગીરી હાલ ચાલુ છે.