ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ત્યારે સરકાર દ્વારા ચોથા તબક્કાનાં લોકડાઉનમાં ઘણી છૂટ આપવામાં આવી રહી છે. આ લોકડાઉનમાં ખાસ કરીને ધંધાદારી લોકોને આર્થિક સહાયનાં ભાગરૂપે સરકારે એક આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે.
આપને જણાવી દઇએ કે, આ લોકડાઉનમાં સૌથી વધુ હાલાકી રાજ્યનાં નાના દુકાનદારો, વ્યક્તિગત વ્યવસાયિકો, વાળંદ, દરજી કામ, પ્લમ્બીંગ કામ, ઈલેક્ટ્રિશીયન, રેકડી કે ફેરી કરનારાઓને ભોગવવાનો વારો આવ્યો છે. આવા લોકોને લોકડાઉનની પરીસ્થિતિમાંથી પુન: ઉભા કરવા પાંચ હજાર કરોડની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરાઈ છે.
આ યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાનાં વ્યાજે 3 વર્ષ માટે સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટિવ બેન્કો તથા ક્રેડિટ સોસાયટીઓ આપશે. આવી રીતે આપવામાં આવેલ લોનનું 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવવાની છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનાં ફોર્મ્સનું વિતરણ ગઇ કાલે એટલે કે ગુરુવારથી શરૂ કરવામાં આવ્યું હતુ. સમગ્ર રાજ્યની 9 હજારથી વધુ શાખા પર ફોર્મનું વિતરણ શરૂ થયુ છે.
આપને જણાવી દઇએ કે, સતત બીજા દિવસે આત્મનિર્ભર લોનનું ફોર્મ લેવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. અમદાવાદનાં બાપુનગરની કાલુપુર કો-ઓપરેટીવ બેંકની બહાર મોટી સંખ્યામાં કતાર જોવા મળી હતી. લોકો એક કિલોમીટર લાંબી લાઈનોમાં ઉભા રહ્યા છે. જો કે આ દરમિયાન લોકોએ સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાનું ટાળ્યુ હતુ. ફોર્મ લેવા માટે લોકોએ ગાઈડલાઇનનું ઉલ્લંઘન કર્યુ. અહી મોટી સંખ્યામાં ભીડ છતા પોલીસનાં બંદોબસ્તનો અભાવ જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.