પાટણ,
પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. બી.એ.પ્રજાપતિ દ્વારા યુનિવર્સિટીના આર્કિટેક વિભાગમાં પોતાના સગા દીકરાને કાયમી અધ્યાપકની જગ્યા ઉપર આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂંક કરી દીધી છે.
બીએડના વિદ્યાર્થી પ્રવેશ મામલે યુનિવર્સિટી સંચાલકો પાસેથી મસ મોટી રકમ મેળવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા લાંચરુશ્વત વિરોધી બ્યૂરોમાં ફરિયાદ કરી છે.
મુખ્યમંત્રીને પણ આ બાબતે ફેક્સ દ્વારા જાણ કરી કુલપતિ દ્વારા આચરાયેલ ભ્રષ્ટાચારની તપાસ તથા તેઓની સામે કાયદેસરની ફરિયાદ નોંધી તેઓને પદભ્રષ્ટ કરવાની માંગ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
જુના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં ધારાસભ્ય કિરિટ પટેલે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના કુલપતિ ડો.બી.એ.પ્રજાપતિ તેમજ તેમના પુત્રની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધુ હોવા છતાં નિમણૂંક આપી છે.
ધારાસભ્ય દ્વારા શુક્રવારે સાંજે જુના સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફ્રન્સ બોલાવી હતી તેમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના કુલપતિ ડો.બી.એ.પ્રજાપતિ તેમજ તેમના પુત્રની વાર્ષિક આવક 6 લાખ કરતાં વધુ હોવા છતાં તેઅો દ્વારા ગુજરાત રાજ્ય સેવા નિયમો 1971 મુજબ કોઈપણ સરકારી કર્મચારી જ્યાં પોતાની સર્વોપરી સત્તા હોય ત્યાં પોતાના નજીકના સગાને નોકરી ન રાખી શકે આવી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં યુનિવર્સિટીના કુલપતિ પોતાના સગા દીકરાને આર્કિટેક વિભાગમાં કાયમી અધ્યાપકની જગ્યા ઉપર આસિસ્ટન્ટ પ્રોફેસરની નિમણૂંક આપી છે.
આ નિમણૂંક દરમિયાન અરજીઓની ચકાસણી પણ પોતાની મરજી મુજબ કરાવી અને ઇન્ટરવ્યૂ સામાન્ય રીતે તેઓને નોન ક્રિમીલીયરનો લાભ મળવા પાત્ર ન હોવા છતાં પણ તેને બક્ષીપંચના ઉમેદવાર તરીકેની નિમણૂંક આપી બક્ષીપંચના ઉમેદવારોને અન્યાય કરી ગુનાહિત કૃત્ય કરવામાં આવ્યું છે.
તેમજ બી.એડ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મામલે પણ કુલપતિ દ્વારા ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કરી તેઓની સામે નિવૃત જજ અથવા તો હાઈકોર્ટના જજ દ્વારા તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા અને કુલપતિ પદેથી પદભ્રષ્ટ કરવા લાંચરૂશ્વત વિરોધી બ્યુરોમાં ફરિયાદ નોંધાવી છે.
ધારાસભ્ય દ્વારા યુનિવર્સિટીના કુલપતિ સામે કરાયેલા ભ્રષ્ટાચારના મામલે ફરી એક વખત શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને ભ્રષ્ટાચાર મામલે તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરે નહિ તો દિવાળી બાદ આ મામલે ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ બાબતે કુલપતિ ડો.બી.એ.પ્રજાપતિનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શકેલ ન હતો.