અમદાવાદ
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારજનોને સમાધાનની વાત કહીને મળવા માટે બોલાવવામાં આવ્યા. પરંતુ મુલાકાતના નામ પર ષડ્યંત્ર રચીને યુવતીના પરિવારજનોએ યુવકના પિતા ભાઈ અને અન્ય પરિવારજનોની ધોલાઇ કરી નાખી.
જેમાં યુવકના પરિવારજનોને ગંભીર રીતે માર મારતા પરણિત યુવકના પિતા અને પરિવારજનોને અનેક ફ્રેક્ચર થયા હોવાની હકીકત બહાર આવી છે, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દ્રશ્યો સાબિત કરે છે કે, યુવતીના પરિવારજનો કેટલી નિર્દયતાથી યુવકના પરિવાર પર તૂટી પડ્યા હશે.
ઘટનાની વિગત વાર વાત કરીએ તો ગૌરાંગ સાધુ અને પાયલ સાધુએ તારીખ 6 સપ્ટેમ્બરના રોજ પ્રેમલગ્ન કર્યા હતા અને ત્યારબાદ છોકરીના પરિવારજનો તેને શોધતા હતા.
દરમિયાનમાં કનુભાઈ રામાનુજ નામના વ્યક્તિએ બન્ને પક્ષોનું સમાધાન કરાવી આપવાની વાત કરીને મુલાકાત માટેનું સ્થળ નક્કી કર્યું હતું. છોકરાના પરિવાર જનોને થયું કે ખરેખર છોકરી વાળા રાગ-દ્વેષ ભૂલીને સંબંધો બાંધવા માંગે છે પણ તેમને ક્યાં ખબર હતી કે સબંધોની આડમાં છોકરીના પરિવારજનોએ ષડ્યંત્ર રચ્યું હતું.
અમદાવાદના ઈસ્કોન મંદિરના બ્રિજ નીચે જ્યારે યુવતીના પરિવારને મળવા માટે યુવકનો પરિવાર પહોંચ્યો ત્યારે યુવતીના પરિવારજનો અને તેના સાગરીતો બોથડ પદાર્થ સાથે મારામારી કરવા તૂટી પડ્યા. જેમાં યુવકના પિતાને હાથમાં અને પગમાં ગંભીર રીતે ફ્રેકચર થયું હતું.
જયારે યુવકના પિતરાઈ ભાઈને માથમાં માર મારતા તે ઘટનાસ્થળ પર જ બેભાન થઇ ગયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના માથામાં દસ જેટલા ટાંકા આવ્યા હતા અને તેમના પગમાં પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે યુવકના ફૂવાને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
યુવકના પરિવાર જનોનું કહેવું છે કે આ સમગ્ર ઘટનામાં અપહરણ કરનાર કનુભાઈ(વિરમગામ વાળા),અજીત સાધુ, રોહિત સાધુ અને યુવતીના પિતાનો હાથ છે, જે બધાએ ભેગા મળીને આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે.
ત્યારે બીજી તરફ આ બાબતની જાણ સેટેલાઈટ પોલીસને થતા પોલીસે ષડયંત્ર રચીને હુમલો કરનાર શખ્સો પર ગુનો દાખલ કરી તપાસની કાર્યવાહી હાથ ધરી છે.