Ahmedabad News: રાજ્યમાં પ્રવાસ (Tour)ને લઈને નવી માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં ટુરનું આયોજન નહીં કરવાની સૂચના હોવા છતાં અન્ય એક શાળાએ પ્રવાસનું આયોજન કર્યું હોવાની માહિતી સામે આવી છે. મણિનગરની સેવન્થ ડે સ્કૂલ બાદ હવે બોપલની શિવ આશિષ સ્કૂલે (Shiv Ashish School) 145 વિદ્યાર્થીઓને મહારાષ્ટ્ર મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ ફટકારી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં શાળાને શિક્ષાત્મક કાર્યવાહી અને માન્યતા રદ કરવાની ધમકી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
DEO કચેરી દ્વારા બોપલની શિવ આશિષ સ્કૂલને નોટિસ આપી જણાવ્યુ છે કે, શિક્ષણ વિભાગ દ્વારા શાળાકીય પ્રવાસ માટે નવા નિયમો ન બને ત્યાં સુધી પ્રવાસ લઈ જવા આયોજન કરવાની કે પ્રવાસ લઈ જવા માટે સ્પષ્ટ ના પાડવામાં આવેલી છે. જોકે આ અંદે તમામ સ્કૂલોને પણ પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવેલી છે. તેમ છતાં આપની સ્કૂલ દ્વારા તા.16થી 18 ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્રમાં 145 જેટલા વિદ્યાર્થીઓનો પ્રવાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ મળી છે, જે ખૂબ ગંભીર બાબત છે.
આમ ગેરકાયદે પ્રવાસનું આયોજન કરી વિદ્યાર્થીઓના હિતને જોખમમાં મુકવામાં આવ્યુ હોવાથી શાળા મંડળ સામે દંડનાત્મક કાર્યવાહી અને શાળાની માન્યતા રદ કરવા માટે નિયમાનુસારની કાર્યવાહી શા માટે ન કરવી એ બાબતે રૂબરૂ હાજર રહી ખુલાસો કરવાની સૂચના આપવામાં આવી છે.
નોંધનીય છે કે, સ્કૂલોના પ્રવાસને લઈને છેલ્લા કેટલાક દિવસો પહેલા નવી ગાઈડલાઈન અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી. બીજી બાજુ દિવાળી વેકેશન બાદ મોટાભાગની સ્કૂલો દ્વારા પ્રવાસનું આયોજન કરાતું હોવાથી સ્કૂલો પ્રવાસના આયોજનને લઈને મૂંઝવણમાં મૂકાઈ છે. જેથી શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે માર્ગદર્શિકા જાહેર કરે તેવી માગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો:નિયમોનું પાલન ન કરનાર સ્કૂલ વાન સંચાલકો અને 30 સ્કૂલ વાહનોને કરાયો દંડ
આ પણ વાંચો:સ્કુલની છોકરીને ફૂલ આપવાની ના કરતા તમે ભૂલ…નહીં તો થશે આ સજા
આ પણ વાંચો:આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં વિધાર્થીની સાથે અસ્લીલ શારીરિક હરકત, નોંધાઈ FIR
