અમદાવાદ,
પરપ્રાંતિય હુમલાને લઇને પોલીસ સતર્ક બની છે. શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાલુપુર સ્ટેશન પર મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકોનો ધસારો થયો છે.
કોઇ અનિચ્છીય ઘટના ન બને તેને ધ્યાને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરપ્રાંતિય લોકો મોટા પ્રમાણમાં માદરે વતન જતા કતારો લાગી હતી.
ઘણા દિવસોથી ઉત્તરપ્રદેશ અને બિહાર જેવા અન્ય રાજ્યોથી ગુજરાતમાં રોજગારી માટે આવેલા વ્યક્તિઓ પર ટોળાઓ દ્વારા હુમલા અને ધાક-ધમકી આપવાના બનાવો બની રહ્યા છે.
જેને પગલે ઘણા પરપ્રાંતિય લોકોએ હિજરત કરવાની ફરજ પડી છે. ઘણાઓ ગુજરાત છોડવાની તૈયારીમાં છે તો ઘણા ગુજરાત છોડી જતા રહ્યા છે.
શહેરમાં શાંતિ ડહોળાય નહીં તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે જેમાં પરપ્રાંતીયોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં સતત પોલીસ બંદોબસ્ત તેમજ તોફાની તત્ત્વોની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.