પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ છોડી જતાં રહ્યાં
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં બહાર આવેલો જૂથવાદ હવે ખૂલીને જગજાહેર થઈ ગયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના એક પછી એક સિનિયર નેતાઓની નારાજગી સામે આવ્યા પછી હવે નારાજ કાર્યકરો પણ ઉગ્ર બન્યા છે. અમદાવાદના શહેર પ્રમુખ બદલવાના મામલે નારાજ કાર્યકરોએ આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પ્રેસ કોન્ફરન્સમાં ઉગ્ર બનીને પ્રદેશ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં હોબાળો મચી જતાં અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ છોડીને ચાલ્યા ગયા હતા.
અમદાવાદ શહેર પ્રમુખની વરણીના મામલે કાર્યકરોએ મચાવ્યો હોબાળો
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખની વરણીને લઈને પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત અમિત ચાવડા પત્રકાર પરિષદને સંબોધન કરી રહ્યા હતા ત્યારે કેટલાક કોંગ્રેસના કાર્યકરો નારેબાજી અને સૂત્રોચ્ચાર કરતા પત્રકાર પરિષદમાં ધસી આવ્યા હતા. નારેબાજી કરી રહેલા કાર્યકરોના સૂત્રોચ્ચાર પરથી લાગી રહ્યું હતું કે તેઓ કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપનાર નીરવ બક્ષીના સમર્થકો હોય તેમ જણાતું હતું.
આ કાર્યકરોની માંગ હતી કે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશીકાંત પટેલના સ્થાને યુવા નેતા એવા નીરવ બક્ષીની નિમણુંક કરવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા ગઈકાલે સાંજે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે શશીકાંત પટેલની નિમણુંકની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ તરત જ નીરવ બક્ષીએ મહામંત્રીપદેથી પોતાનું રાજીનામું આપી દીધું હતું.
પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે શશીકાંત પટેલની નિમણુંક કરવામાં આવી હતી. જેના કારણે કોંગ્રેસમાં ચાલી રહેલો જૂથવાદ સપાટી પર આવી ગયેલો જોવા મળ્યો છે.