Ahmedabad News : અમદાવાદ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા ટ્રાફિક પોલીસ સાથે મળીને દબાણ હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન નરોડા વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ પાસે દબાણ દૂર કરવાની કામગીરી વખતે AMC અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
GEB રોડ પર કામગીરી દરમિયાન તણાવ
મળતી માહિતી મુજબ, 22 ડિસેમ્બરના રોજ રાત્રે અમદાવાદ (Ahmedabad)માં ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ નરોડા પોલીસ સ્ટાફ સાથે GEB રોડ પર આવેલી વેજીટેબલ માર્કેટની બહાર રોડ પર થયેલા દબાણો દૂર કરવા પહોંચી હતી. માર્કેટ હોવા છતાં કેટલાક લારીવાળા રોડ પર ધંધો કરી રહ્યા હતા, જેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અમદાવાદ (Ahmedabad)માં લારીવાળાઓ દ્વારા પથ્થરમારો
દબાણ દૂર કરવામાં આવતા લારીવાળાઓ ઉગ્ર બની ગયા હતા અને પોલીસ તથા AMC ટીમ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો.

એક પોલીસકર્મી ઘાયલ
પથ્થરમારાની ઘટનામાં એક પોલીસકર્મીને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હુમલામાં સામેલ લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
શહેરભરમાં વ્યાપક કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં (Ahmedabad) AMC દ્વારા ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે શહેરભરમાં દબાણ વિરોધી ઝૂંબેશ ચાલી રહી છે. આજે સવારથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 150થી વધુ લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત 300થી વધુ ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનોને લોક મારવામાં આવ્યા હતા.

Ahmedabad માંદબાણ અને ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક વલણ
મુખ્ય માર્ગો પર ટ્રાફિક સરળ બનાવવા માટે AMC દ્વારા દરરોજ વહેલી સવારથી મોડી રાત સુધી ત્રણ શિફ્ટમાં કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ (Ahmedabad)માં રોડ પર ગેરકાયદેસર રીતે ઉભા રહેલા લારી-ગલ્લા અને વાહનો સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
