Ahmedabad News : વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં થયેલા બહુચર્ચિત રક્ષિત ચૌરસિયા (Rakshit Chaurasia)અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી રક્ષિત રવિશ ચૌરસિયાની જામીન અરજી મંજૂર કરી છે. હોળીના દિવસે થયેલા આ ગંભીર અકસ્માત બાદ રક્ષિત છેલ્લા 9 મહિનાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતો.
શું હતી ઘટના?
13 માર્ચ, 2025ની રાત્રે કારેલીબાગના મુક્તાનંદ સર્કલ નજીક નશામાં ચૂર કારચાલક રક્ષિત ચૌરસિયા (Rakshit Chaurasia)એ આમ્રપાલી રોડ પર 8 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં હેમાલીબેન પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં એક બાળક અને એક બાળકી સહિત કુલ 7 લોકો ઘાયલ થયા હતા.
‘ફૂટબોલની જેમ લોકો ફંગોળાયા’
પ્રત્યક્ષદર્શીઓ મુજબ, કારની ઝડપ એટલી વધારે હતી કે લોકો હવામાં ફંગોળાયા હતા. અકસ્માત બાદ રક્ષિત કારમાંથી બહાર આવી ‘Another Round – Another Round’ અને ‘નિકિતા મેરી…’ જેવી બૂમો પાડતો હોવાનું પણ સામે આવ્યું હતું, જેને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા હતા.

કારની ઝડપ 140 કિમી પ્રતિ કલાક
અકસ્માતમાં વપરાયેલી વોક્સવેગન કારનો ડેટા કંપની દ્વારા જર્મની મોકલી તપાસ કરાઈ હતી. પોલીસને મળેલા રિપોર્ટ મુજબ અકસ્માત સમયે કારની ઝડપ આશરે 140 કિમી પ્રતિ કલાક હતી. કારનું ડોંગલ પ્રાંશુ ચૌહાણના મોબાઈલમાં રહેલી MY VW એપ સાથે કનેક્ટ હતું.
FSL રિપોર્ટમાં ગાંજાની પુષ્ટિ
અકસ્માત બાદ રક્ષિત ચૌરસિયા(Rakshit Chaurasia), પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડના બ્લડ સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ત્રણેયના બ્લડમાં ગાંજાની હાજરી નોંધાઈ હતી. જેના આધારે કારેલીબાગ પોલીસ મથકમાં ત્રણેય સામે NDPS એક્ટની કલમ 27(A) હેઠળ ગુનો દાખલ થયો હતો.
નીચલી અદાલતે જામીન નામંજૂર કર્યા હતા
આ કેસમાં અગાઉ વડોદરા સેશન કોર્ટના 6ઠ્ઠા એડિશનલ સેશન્સ જજ પ્રશાંત રાવલે આરોપીની નિયમિત જામીન અરજી નામંજૂર કરી હતી. ત્યારબાદ આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેને હવે મંજૂરી મળી છે.
આરોપીઓ વિશે
રક્ષિત ચૌરસિયા(Rakshit Chaurasia): એમ.એસ. યુનિવર્સિટીમાં કાયદાનો વિદ્યાર્થી
પ્રાંશુ ચૌહાણ: પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી

