Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 42 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું (suicide) હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પારિવારિક કલહ અને પત્નીના અન્ય પુરુષો સાથેના સંબંધોને કારણે માનસિક તણાવ આ ઘટનાનું મુખ્ય કારણ હોવાનું સામે આવી રહ્યું છે.
મૃતકના નાના ભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, મૃતક પોતાની પત્ની અને બે બાળકો સાથે રાણીપમાં રહેતા હતા. છેલ્લા કેટલાક સમયથી દંપતિ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને પત્નીના અનૈતિક સંબંધોને કારણે પરિવારમાં અશાંતિ વધી રહી હતી, જેના કારણે મૃતક સતત તણાવમાં રહેતો હતો.
પત્ની પિયર ગયા બાદ યુવકે ભર્યું આત્મઘાતી (suicide) પગલું
મળતી માહિતી અનુસાર, 21 માર્ચના રોજ મૃતકની પત્નીને તેના ભાઈઓ પિયર લઈ ગયા હતા. ત્યારબાદ બીજા દિવસે સવારે મૃતક કોઈને જાણ કર્યા વગર પોતાના ઘરે ગયો હતો. પરિવારજનોને શંકા જતા તેઓ ઘરે પહોંચ્યા, પરંતુ દરવાજો અંદરથી બંધ હતો.

ગેલેરી મારફતે અંદર પ્રવેશ કરતા મૃતક બેડરૂમમાં પંખા સાથે ચાદર વડે ગળેફાંસો (suicide) ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
સ્યુસાઇડ નોટમાં થયો ખુલાસો
પોલીસ તપાસ દરમિયાન ઘરેથી એક સ્યુસાઇડ નોટ (Suicide note) મળી આવી હતી. તેમાં મૃતકે પોતાની આત્મહત્યા (suicide) પાછળનું કારણ પત્નીના અન્ય પુરુષો સાથેના સંબંધો હોવાનું લખ્યું હતું. તેણે નોંધ્યું હતું કે ઘણી વાર સમજાવ્યા છતાં સ્થિતિમાં સુધારો આવ્યો નહોતો.
ફરિયાદ મુજબ, નોટમાં કેટલાક લોકોના નામ અને મોબાઈલ નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ, પત્ની દ્વારા સગા-સંબંધીઓના દાગીના ગીરવે મૂકવાના મુદ્દાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પોલીસે તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપોની સત્યતા અને તમામ પાસાઓની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:વસ્ત્રાપુરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
આ પણ વાંચો:બગોદરામાં એકલ માતાના મંદિર પરિસરમાં પ્રેમીયુગલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
આ પણ વાંચો:છોકરા દ્વારા ફોન પર બદનામ કરવાની ધમકી અપાતા સગીરાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
