દેશમાં ૧૬ થી વધુ મહિલા મુખ્યમંત્રીઓના શાસનની વાત
સૌથી વધુ દિવસો રાજ કરવાની તક કોંગ્રેસના શીલા દિક્ષીતને મળી તો સુષ્મા સ્વરાજે માત્ર ૫૧ દિવસ જ દિલ્હીની ગાદી સંભાળી હતી.
@હિમ્મતભાઈ ઠક્કર, ભાવનગર
ભારતમાં નારી શક્તિને દેવી તરીકે પૂજવામાં આવે છે. નવરાત્રિમાં એ માતા દુર્ગા અને શક્તિની આરાધનાનું પર્વ છે. ભારતમાં મહિલાઓની વસતિ લગભગ ૪૦ ટકા આસપાસ છે. ભારતમાં દરેક શાસકો મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાની વાતો કરે છે. બેટી બચાવો, બેટી પઢાવોના નારા લગાવે છે. તાજેતરમાં ભાજપ કોંગ્રેસ ડાબેરી જાેડાણ અને ટીએમસીએ પોતાના જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં ઘણી વાતો કરી છે. મહિલા મતદારોને આકર્ષવા ખૂબ વચનો આપ્યા છે. પરંતુ વચનો આપવામાં આપણું શું જવાનું છે ? મોટાભાગના રાજકીય પક્ષોમાં કથની અને કરણીમાં ફેર છે. મહિલાઓને અસંખ્ય લાભ આપવાની વાત કરનારા રાજકીય પક્ષો મહિલા નેતાઓને ઉમેદવાર બનાવવાની વાત આવે ત્યારે પાણીમાં બેસી જાય છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ કે ડાબેરી કોંગ્રેસ ગઠબંધને માત્ર આંગળીના વેઢે ગણાય એટલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના ૩૦ વર્ષના શાસનને હટાવી ૨૦૧૧માં સત્તા પર આવેલ અને ઘણા વિશ્લેષકો જેને બંગાળની સિંહણ કહે છે તે મમતા બેનરજીના પક્ષ ટીએમસીએ ૫૦ મહિલાઓને ચૂંટણીજંગના મેદાનમાં ઉતારી છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપ અને અન્ય પક્ષોને ઉમેદવારોની પસંદગી માટે ફાંફા મારવા પડ્યા છે ત્યારે ટીએમસીએ પ્રથમ જ ધડાકે ૨૯૪ પૈકી ૨૯૧ બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા. એટલું જ નહિં પરંતુ બીજા કોઈની પરવા કર્યા વગર ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરી દીધો. આ કોઈ જેવી તેવી સિધ્ધી તો નથી જ.
અત્યારે દેશમાં ૨૮ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેમાં એક માત્ર મહિલા મુખ્યમંત્રી છે. અને પ્રજાલક્ષી વહિવટ કરે છે તેવું મોટાભાગના નિરીક્ષકો નોંધે છે ત્યારે સ્ત્રીસશક્તિકરણની વાતો કરનારા અને બેટી પઢાઓ બેટી બચાવોની ગુલબાંગો પોકારનારાએ આ બંગાળની બેટીના શાસનને બદનામ કરી તેનો અંત લાવવા માટે જાણે કે કીડી પર કંટક ઉતારતી હોય તેમ કેન્દ્રના ૨૦થી વધુ પ્રધાનની ફોજ ઉતરી પડી છે. જો કે, બંગાળની સિંહણ એવી મમતા બેનરજી ભાંગેલા પગે વ્હીલચેરમાં બેસી બંગાળમાં ઘૂમીને એક વિરંગનાની અદાથી પોતાના હરિફોનો સામનો કરી રહી છે. બંગાળની બેટીને હરાવવા પહેલા હિંસાખોરી ત્યારબાદ પક્ષપલ્ટો અને હવે વચનોની લ્હાણી કર્યા બાદ આ એકમાત્ર મહિલા મુખ્યમંત્રીને હરાવવા માટે કોરોનાથી પીડાતા દેશ અને સરહદે થતાં છમકલા સહિતની આફતોનો અને દેશના અર્થતંત્રને સુધારવાની કવાયત કરવાને બદલે એક મહિલા મુખ્યમંત્રીને હરાવવામાં મગતરા જેવા નેતાઓ વ્યસ્ત રહે છે. આ અંગે એક અખબારે એવી પણ નોંધ લીધી છે કે એકચક્રી શાસન સ્થાપવાનો ઈરાદો બર લાવવા પડોસી દેશ બાંગ્લાદેશની મદદ લેવાનો તખ્તો પણ ઘડ્યો છે. ભારતના રાજકારણની આજ એક કમનસીબી છે. દુઃખદ ઘટના છે.
પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલિપ ઘોષે એક ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે મમતા દીદી દરેક ચૂંટણી સભાઓમાં પોતાને થયેલી ઇજા નો ઉલ્લેખ કરી પગમાં કરાયેલું પ્લાસ્ટર બતાવતા રહે છે પરંતુ હું માનું છું કે તેમણે સાડીના બદલે બરમુડા પહેરવું જોઈએ . દિલીપ ઘોષના આ વિધાન અંગે પ્રતિભાવો આવવા શરૂ થઈ ગયા છે ટી એમ સી ના મહિલા સાંસદ મહુઆ મ્હાત્રે કહે છે કે આવા વિકૃત માનસિકતા ધરાવતા બંદરો બંગાળ જીતવા નીકળ્યા છે અન્ય એક નેતા રેણુકા ચક્રવર્તી પણ તેમાં સુર પુરાવતા કહે છેકે આ ભાજપ વાળા માત્ર બંગાળ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે એવા વિધાન સમસ્ત નારીસમાજ નું પણ અપમાન છે
ભારતે મહિલાને દેશના પ્રથમ નાગરિક એટલે રાષ્ટ્રપતિનો હોદ્દો પણ આપ્યો છે. વડાપ્રધાન તરીકે શ્રીમતિ ઈંદિરા ગાંધીએ કરેલી કામગીરીને લોકો આજે પણ યાદ કરે છે. લોકસભાના સ્પીકર તરીકે પહેલા મીરાકુમાર અને ત્યારબાદ સુમિત્રા મહાજને બજાવેલી કામગીરીને લોકો આજે પણ ભૂલ્યા નથી. જો કે રાજ્યોના મુખ્ય મંત્રી પદ બાબતમાં મહિલાઓને લાભ સાવ મળ્યો નથી તેવું નથી. કોંગ્રેસે પાંચ મહિલાઓને ભાજપે ત્રણ મહિલાઓને તેમજ બાકીના પક્ષોએ એક એક મહિલાને તબક્કાવાર મુખ્યમંત્રી પદ બનવાનો મોકો આપ્યો છે. વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની યાદી તપાસીએ તો ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સરકારના મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળવાનું માન સ્વાતંત્ર્યસેનાની શ્રીમતિ સુચિતા કૃપલાણીને મળ્યું છે. તેઓ બીજી ઓકટોબર ૧૯૬૩ થી ૧૩મી માર્માચ ૪ચ ૧૯૬૭ સુધી એટલે કે ૧૨૫૮ દિવસ સુધી દેશના સૌથી મોટા રાજ્ય યુપીના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો.
ઓરિસ્સાના મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસના જ તેજાબી વક્તા અને સફળ વહીવટકર્તા પુરવાર થયેલા મુખ્યમંત્રી શ્રીમતી નંદિની સત્પથીએ ૧૪મી જુન ૧૯૭૨ થી ૩ માર્ચ ૧૯૭૩ ને ૬ માર્ચ ૧૯૭૪ થી ૧૬ ડિસેમ્બર ૧૯૭૬ સુધી એટલે કે બે તબક્કે ૧૨૭૮ દિવસ સુધી મુખ્યમંત્રીપદનો તાજ શોભાવ્યો હતો. જ્યારે દેશના નાનકડા રાજ્ય ગોવાના મુખ્યમંત્રી તરીકે ત્યાંના પ્રાદેશીક પક્ષ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના મહિલા નેતા શશીકલા કાકોડકરે ૧૨મી ઓગસ્ટ ૧૯૭૩ થી ૨૭ એપ્રિલ ૧૯૭૯ સુધી એટલે કે ૨૦૮૪ દિવસ ગોવાનું મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. જ્યારે કોંગ્રેસના જ શ્રીમતી સનવરા તૈમુરે આસામમાં ૧૯૮૦-૧૯૮૧ના સમયગાળા દરમિયાન ૨૦૬ દિવસ સુધી આસામનું મુખ્યમંત્રીપદ સંભાળ્યું હતું. જ્યારે તમિલનાડુમાં અન્ના ડીએમકેના જાનકી રામચંદ્રન (એમ.જી. રામચંદ્રનના પત્ની)ને માત્ર ૨૩ દિવસ સુધી મુખ્યમંત્રીપદનો તાજ પહેરવાનો મોકો મળ્યો હતો.
જ્યારે ૨૦૧૬ના ડિસેમ્બર માસમાં જેમણે ચીરવિદાય લીધી તે તમિલનાડુના અડિખમ મહિલા નેતા એક જમાનાની ફિલ્મ અભિનેત્રી જયલલિતાએ ૧૯૯૧ તી ૧૯૯૬, ૨૦૦૧, ૨૦૦૨ તેમજ છેલ્લે ૨૦૧૪માં એમ ચાર વખત મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળીને ૫૨૩૮ દિવસ તમિલનાડુમાં રાજ કર્યું હતું અને લોકોના દિલમાં પણ અભૂતપૂર્વ સ્થાન મેળવ્યું હતું. તેઓ અન્ના ડીએમકે પક્ષના આજીવન સભ્ય રહ્યા હતા. જ્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમો માયાવતીએ ત્રણ તબક્કે કુલ ૨૫૬૨ દિવસ મુખ્યમંત્રી પદ શોભાવ્યું હતું. જ્યારે પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે રાજેન્દ્ર કોર બાદલે પણ ૮૩ દિવસ રાજ કર્યું હતું. બિહારના મુખ્યમંત્રી તરીકે શ્રીમતી રાબડી દેવીએ ૨૭૪૬ દિવસ સુધી રાષ્ટ્રીય જનતાદળ (રાજદ)ના મુખ્યમંત્રી તરીકે ૨૭૪૬ દિવસ ત્રણ તબક્કે શાસન કર્યું હતું.
જ્યારે મોદી સરકારના સફળ વિદેશપ્રધાન એવા શ્રીમતી સુષ્મા સ્વરાજે પણ ૧૯૯૮માં ૫૧ દિવસ સુધી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શાસન કર્યું હતું. તેઓ જનસંઘકાળથી ભાજપ સુધી આજીવન પક્ષને વફાદાર અને પ્રખર તેમજ અભ્યાસી નેતા હતા. જ્યારે દિલ્હીમાં ૪ થી ડિસેમ્બર ૧૯૯૮થી ૨૭ ડિસેમ્બર ૨૦૧૩ સુધી એટલે કે ૫૫૦૨ દિવસ સુધી સળંગ શાસન કરનાર મહિલા નેતા કોંગ્રેસના શ્રીમતી શીલા દિક્ષીતે તો દિલ્હીમાં વિજયની હેટ્રીક પણ લગાવી હતી.
જ્યારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ભાજપના ઉમા ભારતીએ ૨૫૯ દિવસ સુધી રાજ કર્યું હતું. જ્યારે રાજસ્થાનમાં બે તબક્કે મુખ્યમંત્રી પદ સંભાળનારા ભાજપના નેતા વસુંધરા રાજેએ ૩૬૬૭ દિવસ રાજ કર્યું છે અને હાલ તેઓ રાજસ્થાન વિધાનસભામાં વિપક્ષનું નેતૃત્વ સંભાળે છે. જ્યારે પશ્ચિમ બંગાળમાં ઉપર જણાવી ગયા તે પ્રમાણે કેન્દ્રીય ફોજ જેમને હરાવવા કામે લાગી છે અને દેશનો સૌથી જૂનો રાજકીય પક્ષ કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરેલ છે તે મમતા બેનરજી ૨૦૧૧ અને ૨૦૧૬ એમ બે ચૂંટણી જીતી જઈ વધુ એકવાર મેદાનમાં ઉતર્યા છે અને તેઓ ૩૫૯૧ દિવસ શાસન કરી ચૂક્યા છે.
હાલ ઉત્તરપ્રદેશમાં રાજ્યપાદ પદનો હવાલો સંભાળી રહેલ આનંદીબેન પટેલ પણ ગુજરાતમાં ૮૦૮ દિવસ સુધી મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે. જ્યારે હવે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયેલ જમ્મુ કાશ્મીરના વિવાદી મુખ્યમંત્રી તરીકે સ્થાન સંભાળનાર પીડીપીના મહેબુબા મુફ્તીએ પણ ૮૦૭ દિવસ રાજ કર્યું છે.
અમુક તબક્કો એવો હતો જેમાં ત્રણ કે ચાર રાજ્યોમાં મહિલા મુખ્યમંત્રીઓ હતા. આજે તેમાંથી માત્ર મહિલા મુખ્યમંત્રી મમતા બેનરજી બચ્યા છે અને તેઓ ત્રીજીવાર પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે.
હવે ભાજપ કોંગ્રેસ ડાબેરીઓ એ તમામ પશ્ચિમ બંગાળમાં એકબીજા પર પ્રહારો કરવાને બદલે માત્રને માત્ર મમતા બેનરજી અને ટીએમસી પર પ્રહારો કરે છે.