કચ્છમાં વધુ વરસાદ અને સાથે લમ્પી વાયરસના કારણે પશુઓના થઇ રહેલા મોતનો મામલો ગરમાયો છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં પશુઓના વધી રહેલા મોતને લઇને કોગ્રેસે કચ્છમાં 20,000 પશુના મોતનો આક્ષેપ કરી પુરતી વ્યવસ્થા ઉભી કરવા માંગ કરી છે ત્યા તંત્રએ આંકડાને ખોટા ગણાવ્યા છે. તો વળી બીજી તરફ સરકારે ગૌ શાળાને મદદ બંધ કરતા ગૌ શાળા સંચાલકો પણ સરકારથી નારાજ છે.
રાજ્યની સાથે કચ્છમાં પણ લમ્પી વાયરસને કારણે પશુઓના મોત થઇ રહ્યા છે. એક તરફ કચ્છમાં 20,000 પશુઓના મોત થયાના આક્ષેપ સાથે કોગ્રેસે જીલ્લા વહીવટી તંત્રને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો સાથે કચ્છમાં પશુ આરોગ્ય ક્ષેત્રે ધટ પુરવાની માંગ કરી સહાય ચુકવવા માટે ઉગ્ર રજુઆત કરી હતી. જો કે સ્ટાફ ધટના સ્વીકાર સાથે કચ્છમાં 20,000 પશુઓના મોતના આંકડાને તંત્રએ નકાર્યુ હતુ અને 81,000 થી વધુ પશુઓને રસિકરણ સાથે તંત્ર કામગીરી કરી રહી હોવાનો બચાવ કરી પુરતી વ્યવસ્થાની ખાતરી આપી હતી. ગુજરાત કિસાન મોરચાના આગેવાન પાલ આંબલીયા ખાસ રજુઆત માટે કચ્છ આવ્યા હતા.
નોધનીય છે કે,કચ્છ જિલ્લામાં માનવ વસ્તી કરતાં પશુધનની સંખ્યા વધારે છે. કચ્છ જિલ્લામાં સરકારી આંકડા મુજબ 20 લાખ કરતા વધારે પશુધન છે. જેમ કોરોના મહામારીએ માનવ જાતિને જકજોડી મૂક્યું હતું તેવી જ રીતે કચ્છમાં છેલ્લા થોડા સમયથી ગૌવંશમાં પણ એક ચેપી રોગે માજા મુકી છે. તાવથી શરૂઆત થઈ શરીર પર મોટા મોટા ફોડલા ઉપસ્યા બાદ અંતે ગાયોના કરુણ મોત લમ્પી સ્કિન ડીસીઝના કારણે થઈ રહ્યા છે.