જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારે પૂરમાં અનેક શ્રદ્ધાળુઓ તણાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા છે અને 40થી વધુ લોકો ગુમ હોવાનો અંદાજ છે. તેમની શોધમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ITBP અને NDRFની ટીમો સ્થળ પર ઊભી છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. શનિવાર સવારથી ફરી એકવાર કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે. ITBP દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પૂરના કારણે પવિત્ર ગુફા વિસ્તારની નજીક ફસાયેલા મોટાભાગના શ્રદ્ધાળુઓને પંજતરની મોકલવામાં આવ્યા છે. ITBP એ તેના માર્ગો ખોલ્યા છે અને તેને નીચલા પવિત્ર ગુફાથી પંજતરની સુધી લંબાવી દીધા છે. ટ્રેક પર કોઈ ભક્તો બાકી નથી. લગભગ 15,000 લોકોને સુરક્ષિત મોકલવામાં આવ્યા છે.
ભારતીય સેનાના જવાનોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર શ્રદ્ધાળુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. મોડી રાત સુધી સૈનિકો ભક્તોની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતા. કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજુએ વાદળ ફાટવાની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. રિજિજુએ કહ્યું- પવિત્ર અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાથી અનેક શ્રદ્ધાળુઓના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. મહાદેવ દિવંગત આત્માઓને શાંતિ આપે. ઓમ શાંતિ
આ પણ વાંચો : મશીન અને પોલિએસ્ટરથી બનેલા રાષ્ટ્રધ્વજને GSTમાંથી મુક્તિ, નાણાં મંત્રાલયે કરી જાહેરાત