આજે મધરાતે જે ગોઝારો અકસ્માત ઇસ્કોન બ્રિજ પર થયો જેમાં નવ લોકોના મોત થયા હતા બાદ તંત્ર સફાળુ જાગ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના અંડરમાં આવતા 84 બ્રિજ પર સીસીટીવી લગાવવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યૂનિસિપલ કમિશ્નરને શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે મ્યૂનિસિપલ કમિશનરને જરૂરી સૂચના પણ આપી દેવામાં આવી છે. જ્યારે આ કેમેરા લગાવ્યા બાદ તેનું મોનિટરિંગ કંટ્રોલરૂમ સેન્ટર ખાતેથી કરાવવાની વ્યવસ્થા ગોઠવવાનું પણ કહેવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર ઈસ્કોન બ્રિજ પર અકસ્માત થયા બાદ AMC ના નેજા હેઠળ આવતા શહેરના 84 જેટલા બ્રિજ પર CCTV લગાવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે તાત્કાલિક બજેટની જોગવાઈ કરીને CCTV લગાવવા તેમજ બ્રિજ પર આવેલા વીજ પોલને જેમ બને તેમ જલ્દી ચાલુ કરવાની સૂચના આપવામાં આવી છે. એસજી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી હસ્તક આવે છે. જો સરકાર તરફથી અમને સોંપવામાં આવશે, તો અમે અહીં પણ CCTV ઈન્સ્ટોલ કરાવી દઈશું.
નોંધનીય છે કે ઇસ્કોન બ્રિજ પર જે ગોઝારો અકસ્માત સર્જાયો હતો તે મામલે સીસીટીવી સંદર્ભે જેસીપીએ જણાવ્યું હતું કે ગાંધીનગર-સરખેજ હાઈવે પર CCTV લગાવવા માટે NHAIને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી.