Valsad News : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાંથી આરંભ જન આક્રોશ યાત્રાના 3જા દિવસે યાત્રા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) એ આજે નવસારી ખાતે જણાવ્યું કે, નવસારીમાં જનાક્રોશ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાઈને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. લોકોએ પોતાની ફરિયાદ, તકલીફ, પીડા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આજે નવસારીના ચીખલીથી સવારે 9:00 વાગે શરૂ થઈ હતી અને ત્યારબાદ ગણદેવી , ઇટાળવા, નવસારી, સિસોદરા, ખારેલ, ટાંકલ, રાનકુવા, સાદડવેલી, ખુડવેલ, ઝરી અને વાંસદા પહોંચી હતી. જન આક્રોશ યાત્રા આજે નવસારીના ચીખલીથી પ્રસ્થાન થઈ હતી. ગણદેવી,ઇટાળવા,નવસારી,સિસોદરા ખારેલ,ટાંકલ,રાનકુવા,સાદડવેલી,ખુડવેલ,ઝરી અને વાંસદામાં યાત્રા પૂરી થઈ હતી. આ યાત્રા દરમિયાન ચીખલી નવસારી,ગણદેવી અને વાંસદાના લોકોની વિવિધ સમસ્યા અને તકલીફો સાંભળી હતી.અહીંના સ્થાનિક લોકોએ રજૂઆત કરતા કહ્યું કે, અહીં પાણીની અછત, પૂરથી થતા નુકસાન, રસ્તા-ડ્રેનેજની અભાવ,વરસાદી પાણીનો નિકાલ,આરોગ્યસુવિધાનો અભાવ, રોડ રસ્તાની ખરાબ હાલત,પીવાના શુધ્ધ પાણીના અછત, ચોરી, ડ્રગ્સ,દારૂનું દુષણ ખુબ જ વ્યાપક પ્રમાણમાં ફેલાયું છે. પોલીસની હપ્તાખોરીના કારણે બુટલેગર બેફામ બન્યા છે.
આ ઉપરાંત અન્ય મૂળભૂત સુવિધા ન મળતા લોકોએ સરકાર સામે નારાજગી વ્યકત કરી હતી.ગણદેવીમાં યાત્રા દરમિયાન લોકોએ રજૂઆત કરી કે ભારે વરસાદે પડતા પાકને નુકસાન થયું છે, પરંતુ સરકારે કોઈપણ પ્રકારનું વળતર આપયું નથી. ચીકુ, કેરી જેવા પાકનું મબલખ ઉત્પાદન થાય છે પરંતુ સરકારની નિષ્ફળ નીતિના કારણે બજારમાં પૂરતા ભાવ નથી મળતા. સ્થાનિક યુવાનો નોકરી માટે અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરવા મજબુર બન્યા છે. ખાસ કરીને દરિયાકાંઠાના ગામોમાં ક્ષારયુક્ત પાણી પર નિર્ભરતા છે, ડ્રેનેજ નેટવર્કનો અભાવ અને વારંવાર પૂર આવવાને કારણે લોકોને સ્થળાંતર કરવા મજબુર બન્યા છે.
અમિત ચાવડા(Amit Chavda) એ નવસારીના સ્થાનિક લોકોના પ્રશ્નો અને સરકાર ધ્વારા ગરીબ લોકોને હેરાનગતિ મુદ્દે જણાવ્યું હતું કે આ નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ રહી ચૂકેલા અને વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના જલ મંત્રી છે, પણ અહીંના લોકોને પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે. મહિલાઓ પીવાના પાણી માટે કકળાટ કરી રહી છે. ચારે તરફ વિકાસના નામે લોકોના ઘર તોડવા માટે નોટિસઓ અપાઇ રહી છે. સરકાર કોઈના પાકા મકાન કે, ઘરનું ઘર તો નથી આપતી પણ વર્ષોથી બાપ દાદાએ બનાવેલા ઘરો તોડવામાં આવી રહ્યા છે.
આ નવસારી શહેરમાં ફ્લાવર શોના નામે કરોડો રૂપિયા ખર્ચાય છે. પણ અહીંયાના રસ્તા સારા નથી બનતા. અહીં દારૂ અને ડ્રગ્સને કારણે યુવા પેઢી બરબાદ થઈ જાય છે. મહિલાઓ આક્રોશ સાથે કહી રહી છે કે, આ દારૂની બદી બંધ કરાવો અમારા ઘરને બરબાદ થતા બંધ કરો, ગામે ગામ મહિલાઓની આક્રોશ સાથે એક જ માંગ કરે છે કે દારૂની રેલમછેલ બંધ કરાવો.
યાત્રા દરમિયાન અમિત ચાવડા(Amit Chavda)ને સ્થાનિક લોકો ધ્વારા સરકાર ધ્વારા મકાનો તોડવા બાબતે રજૂઆત કરી હતી અને લોકોએ રજૂઆત કરતાં અમિત ચાવડા(Amit Chavda) ને જણાવ્યું કે અમને સરકાર ધ્વારા નોટિસ આપવામાં આવી નથી, RTI ની અરજીઓમાં પણ જવાબ નથી આપતા.
હાઇકોર્ટનો તળાવો બાબતેનો ચુકાદો હોવા છતાં નવસારી મહાનગરપાલિકાનું નવુ મકાન તળાવ ઉપર બાંધવામાં આવી રહ્યું છે જે બાબતે લોકોએ અમિત ચાવડા(Amit Chavda) ને રજૂઆત કરી હતી. યાત્રા દરમિયાન સરકારની મનમાની સામે નવસારીની મહિલાઑ એ રજૂઆત કરી હતી કે અમને ડ્રેનેજ લાઇન આપી, લાઇટ આપ્યું, પાણીનું કનેક્શન આપ્યું ત્યારે ન હતું જણાવ્યું કે સરકારી જગ્યા છે પણ સરકાર હવે મહાનગરપાલિકા આવવાની છે એવું કહીને અમને હટાવવવામાં આવી રહ્યા છે. ગૃહિણીઓ મોંઘવારીથી ત્રસ્ત છે અને તેમણે આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે “ બહુત હુઈ મહેગાઈ કી માર, અબ હટાવો ભાજપ સરકાર.
અમિત ચાવડા(Amit Chavda) એ નવસારીના સ્થાનિક લોકોને તાકીદ કરી હતી કે આજે 15 લોકોને નોટિસ આપવામાં આવી છે, કાલે 15,000 લોકોને આપવામાં આવશે, લોકોએ એકજુથ થઈને લડવું પડશે અને સંઘર્ષ કરવો પડશે.

