1 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ માટે જમ્મુ અને શ્રીનગરથી નાઈટ એર સર્વિસ ઉપલબ્ધ રહેશે. અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ સંદર્ભમાં સૂચનાઓ આપી હતી. આ સાથે યાત્રા દરમિયાન પશુઓનો 50,000 રૂપિયાનો વીમો પણ લેવામાં આવશે.
યાત્રીઓ માટે પાંચ લાખના વીમાની સુવિધા ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી તે આ વખતે પણ ચાલુ રહેશે. શાહે યાત્રાના સમગ્ર રૂટ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા સાથે મુસાફરોને તમામ સુવિધાઓ પૂરી પાડવા જણાવ્યું હતું.ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જમ્મુ અને શ્રીનગર એરપોર્ટ પરથી રાત્રિ હવાઈ સેવા ઉપલબ્ધ છે, પરંતુ તેમની સંખ્યા મર્યાદિત છે. અમિત શાહે તેમને આ 42 દિવસની યાત્રા દરમિયાન મુસાફરોની સુવિધા માટે તેમની સંખ્યા વધારવાનો નિર્દેશ આપ્યો હતો
સમીક્ષા બેઠક દરમિયાન શાહે રેલવે સુવિધાઓ પર નજર રાખવા જણાવ્યું હતું જેથી જરૂર પડ્યે તરત જ ટ્રેનોની સંખ્યા વધારી શકાય. તેમણે યાત્રાના રૂટમાં ઓક્સિજન સિલિન્ડરનો પૂરતો જથ્થો રાખવા અને તેના રિફિલિંગની ખાતરી કરવા તેમજ ડોક્ટરોની વધારાની ટીમો તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો હતો.શાહે કહ્યું કે મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવા માટે પૂરતી સંખ્યામાં એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટર તૈનાત કરવા જોઈએ. શાહે મુસાફરો માટે રહેઠાણ, વીજળી, પાણી, સંદેશાવ્યવહાર સહિતની તમામ સુવિધાઓની સમીક્ષા કરી હતી. અમરનાથ યાત્રીઓના રિયલ ટાઈમ લોકેશનને ટ્રેક કરવા માટે rFITની સુવિધા ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી, તે આ વર્ષે પણ ચાલુ રહેશે. આ ઉપરાંત યાત્રાના રૂટ પર ટેન્ટ સિટી, વાઈફાઈ હોટસ્પોટ અને યોગ્ય લાઈટીંગની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે બાબા બર્ફાનીના ઓનલાઈન દર્શન, પવિત્ર ગુફામાં સવાર-સાંજની આરતીનું જીવંત પ્રસારણ અને બેઝ કેમ્પમાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે