ગજરાત વિધાનસભાની ઘાટલોડિયા બેઠક પરથી ભાજપે ભુપેન્દ્ર પટેલને ફરી મેદાનમાં ઉતાર્યા છે. આ તરફ કોંગ્રેસે પણ આ બેઠક પર પોતાના પ્રખર વક્તા અમિબેન યાજ્ઞિકને તેમની સામે પડકાર ફેંકવા ઉતાર્યા છે.વર્ષોથી ભાજપનો ગઢ ઘણાતી આ બેઠક પર ભાજપના ઉમેદવારો જંગી લીડ સાથે જીત્યા છે. હવે આ બેઠક પર મુખ્યમંત્રી સાથે આવતીકાલે સવારે મહારાણા પ્રતાપ ચોક પર અમિત શાહ અને ભુપેન્દ્ર પટેલ બંને મળીને કેસરિયા રેલી કરવાના છે.
ઉલ્લેખનીય છે કે એસજી હાઈવે સોલા ખાતેના સોલા ભાગવત પાસેના ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ તેઓ કરવાના છે. જેના પછી બપોરના સમયે તેઓ ઘાટલોડિયા મામલતદાર કચેરી ગોતા બ્રીજ પાસે જઈને ભુપેન્દ્ર પટેલનું ફોર્મ ભરવા જવાના છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના આ ત્રણ વિસ્તારો ગોતા, ઘાટલોડિયા અને સોલામાં તો તે રેલીની અસર થવાની જ છે પરંતુ આ ઉપરાંત પોતાની અગાઉની પરંપરાગત બેઠક નારણપુરામાં પણ તેની અસર જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત અમદાવાદની ખાસ કરીને પશ્ચિમ વિસ્તારની બેઠકો પર પણ અમિત શાહની આ રેલી નિર્ણયાક ભૂમિકા ભજવી દે તો નવાઈ નહીં.