અમરેલી,
અમરેલીના સાવરકુંડલામા બોરાળા ગામના ફાટક પાસે આજે વહેલી સવારે માલગાડીની હડફેટે ત્રણ સિંહના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. એક સિંહનું માથુ અને ધડ અલગ અલગ રેલવે ટ્રેક પર વિખેરાયેલા પડ્યા હતા. ઘટનાને પગલે વન વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોનો કબ્જો મેળવીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે સોમવારે મોડીરાત્રે આશરે 12.45 વાગ્યે અમરેલીના બોરાળા ગામ નજીક પસાર થતા રેલવે ટ્રેકને ત્રણેય સિંહો ક્રોસ કરી રહ્યા હતા. આ સમયે ત્રણેય સિંહ માલગાડીના અડફેટે આવી ગયા હતા.
બનાવ બાદ વન-વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અમરેલીના રેવન્યૂ વિસ્તારમાં અસંખ્ય સિંહો વસવાટ કરે છે. જોકે, આ પ્રથમ બનાવ નથી જ્યારે ટ્રેનની અડફેડે કોઈ સિંહનું મોત થયું હોય. આ પહેલા આ જ વિસ્તારમાં અલગ અલગ બનાવોમાં દસ જેટલા સિંહોનાં મોત થઈ ચુક્યા છે.