અરબી સમુદ્રમાં પૂર્વ-મધ્ય તેમજ ઉત્તર-પૂર્વ તરફ લો-પ્રેસર સર્જાયું હતું, જે હાલમાં ગુજરાતના વેરાવળથી પશ્ચિમ-દક્ષિણ તરફ લગભગ 170 કિલોમીટરનાં અંતરે હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં આ લો-પ્રેસર વાવાઝોડમાં પરિવર્તીત થઈ જશે. જો કે, આવતા 72 કલાકમાં ચક્રવાત ઓમાનનાં દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના પૂરે પૂરી રહેલી છે.
ગુજરાતના દરિયાકાંઠા નજીક સર્જાયેલા ડીપ્રેશનને પગલે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી દરિયામાં 45-55 કિમી અને મહત્તમ 65 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે જેને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. હાલ પોરબંદર સહિતનાં તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે.
રવિવાર સુધીમાં ડીપ્રેશન વેરાવળના દરિયાકાંઠાથી પશ્ચિમ દક્ષિણ તરફ 170 કિમીના અંતરે છે અને પાકિસ્તાનના કરાચીથી 570 કિમી દક્ષિણ દક્ષિણ-પૂર્વ તરફ હોવાનું જણાયું છે. આગામી 12 કલાકમાં આ ભારે ડીપ્રેશનમાં તબદીલ થઈ શકે છે અને ત્યારબાદ 24 કલાકમાં ચક્રવાતમાં તબદીલ થશે. જો કે વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના હોવાથી ગુજરાતના દરિયાકાંઠા પર કોઈ પ્રતિકૂળ સ્થિતિની આશંકા નથી.તેમ છતા રાજ્ય સરકારે તકેદારીના ભાગરૂપે તંત્રને તમામ મોરચે સતર્ક રહેવા જણાવ્યું છે.