રાજકોટ પોલીસ કમિશ્નરની મનમાની જોવા મળી રહી છે. આજે કમિશ્નર ઓફિસમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાતા મોટો હોબાળો મચ્યો છે. કોઈપણ મીડિયાને કમિશ્નર ઓફિસમાં જવાની પરવાનગી ના આપતા રાજ્યના તમામ મીડિયા હાઉસ ભારે ગુસ્સે થયા છે.
રાજકોટ અગ્નિકાંડના પાપ છુપાવવા જનતાનો અવાજ એવા મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અગ્નિકાંડને લઈને તમામ મીડિયા નાનામાં નાની વાતો લોકો સમક્ષ મૂકી રહી છે. અને અગ્નિકાંડના પીડિતો ઉપરાંત વારંવાર લોકોના મનમાં ઉઠતા સવાલ કે કયારે ન્યાય મળશે તેને મીડિયા હાઉસ વાચા આપી રહ્યું છે. અગ્નિકાંડ મામલે અનેક લોકોની ધરપકડ કરાઈ. પરંતુ પૂર્વ TPO મનસુખ સાગઠિયાની સંડોવણી સામે આવતા હવે રાજકીય માહોલ વધુ ગરમાયો છે. આ અગ્નિકાંડમાં સત્તાધીશ ભાજપ સરકારના પણ કેટલાક મળતિયાઓ સામેલ હોવાની શંકા વધુ દઢ બની જ્યારે આજે રાજકોટ પોલીસ કમિશ્નરની કચેરીએ પોતાની મનમાની કરી.
પોલીસ કમિશનર કચેરીમાં તમામ મીડિયા પર પ્રતિબંધ મૂકાતા મીડિયા હાઉસમાં આક્રોશ ભભૂકી ઉઠયો છે.
પ્રતિબંધ એ દર્શાવે છે કે મિડીયાને પણ દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અગ્નિકાંડ મામલે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝાની મનમાની મીડ઼િયા કે જનતા નહી સાંખી લે. સંભવત આ મામલામાં હવે કોંગ્રેસ તરફથી પણ વધુ વિરોધ પ્રદર્શિત કરવામાં આવી શકે. આગામી સમયમાં કોંગ્રેસ રાજીવ ગાંધી ભવન પર થયેલ હુમલાનો આક્રોશ રાજકોટ અગ્રિકાંડમાં હોમતા રાજ્યભરમાં મીડિયા સાથે મળી વધુ વિરોધ કરી શકે છે.