ઘટતી જતી સપાટી તંત્ર માટે બન્યો ચિંતાનો વિષય
રાજપીપળા: નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક ઘટી હતી, જેના કારણે ડેમની સપાટીમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના કારણે ગત વર્ષની તુલનામાં આ વર્ષે પાણી સપાટીમાં અંદાજે સાડા સાત મીટર પાણી ઘટ જોવા મળી રહી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવતા પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી ૧૧૧.૬૫ મીટર પર યથાવત છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે એટલે કે જુલાઈ -૨૦૧૭માં આ સમયે નર્મદા ડેમની જળ સપાટી ૧૧૯.૮૯ મીટર પર હતી. જયારે આ વર્ષે નર્મદા ડેમની જળ સપાટી હજુ ૧૧૧.૬૫ મીટર સુધી જ પહોંચી છે. આથી ગત વર્ષની તુલનામાં આ વર્ષે અત્યારના સમયમાં ડેમની જળ સપાટીમાં આશરે સાડા સાત મીટર જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.
જો ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો નહીં તો ડેમની વર્તમાન જળ સપાટીમાં પણ ઘટાડો થતો જોવા મળી શકે છે. જેના કારણે આ બાબત ગુજરાત સરકારના તંત્ર વાહકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે નર્મદા ડેમ ઓવરફલો થઈ ગયો હતો છતાં ભર શિયાળે રાજ્યમાં પાણીની કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જયારે આ વખતે નર્મદા ડેમની પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે આ વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફલો થશે કે કેમ? તે અંગે લોકોમાં આશંકા થઈ રહી છે.