શ્રાવણ મહિનાના તહેવારો નજીક આવી રહ્યા છે. તે પહેલા જ ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અચાનક વધારો થયો છે. આપણે જણાવી દઈએ કે સીંગતેલ 15 લીટર ટીનનો ભાવ 1490 થઇ ગયો છે અને સિંગતેલનો લેબલનો ભાવ રૂ.1520થી વધી રૂ.1540 થઇ ગયો છે. જેને લઈ શ્રાવણ મહિનાના તહેવારમાં ગૃહિઓએ મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. જો તૈલી બીયાંની અંતર્ગત જ વાત કરવામાં આવે તો સુર્યમુખી અને મકાઈના તેલમાં રૂ. 20નો વધારો જોવા મળ્યો છે.
આ મુદ્દે જો ધ્યાન દોરવામાં આવે તો કપાસિયાના તેલમાં પણ 4 દિવસમાં રૂ. 40 નો વધારો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કાચામાલની અછત સર્જાતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે. તમને જણાવી દઈએ કે, કપાસિયા તેલમાં ડબ્બે રૂ. 40 તથા સિંગ તેલમાં ડબ્બે રૂ. 70નો વધારો થયો છે. કપાસના તેલના ડબ્બાનો ભાવ 1340થી વધી 1380 સુધી તથા સિંગતેલના ડબ્બાનો ભાવ 1500થી વધી 1570 સુધી પહોંચ્યો છે. આ બાજુ, સૂર્યમુખી અને મકાઈના તેલમાં પણ રૂપિયા 20 વધ્યા છે. જ્યારે વનસ્પતિ ઘી અને દિવેલમાં પણ 30 રૂપિયાનો વધારો નોંધાયો છે.
તેલ મીલના વેપારીઓનું માનીએ તો, રાજ્યમાં મગફળીની તીવ્ર અછત અને નજીકમાં આવી રહેલા તહેવારના કારણે તેલની માંગ વધી છે. સામે કાચામાલમાં અછત સર્જાઈ છે જેના કારણે ભાવમાં વધારો થયો છે.
રાજ્ય સરકાર પણ તેલના ભાવ વધારાથી પરેશાન થઈ છે. રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા ટુંક સમયમાં ઓઈલ મીલ માલિકો સાથે બેઠક કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કેટલાક વેપારીઓ તહેવારને ધ્યાનમાં રાખી મોટી માત્રામાં તેલની ખરીદી કરી સંગ્રહ કરી દે છે, જેને કારણે બજારમાં માલની અછત સર્જાય છે અને ભાવ વધારો થાય છે. આવા નફાખોર વેપારીઓ સામે તંત્ર વધુને વધુ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. બીજીબાજુ તેલના ભાવમાં વધારો થવાનું કારણ ખેડૂતો દ્વારા મગફળી નહી વેચવાનું પણ માનવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે ખેડૂતોને મિનિમમ પ્રાઈસમાં મગફળીના મળી રહે તે માટે મર્યાદા બાંધી છે. જેમાં મગફળીના ભાવ એક હજારની આસપાસ કરી દીધા છે જેના કારણે ખેડૂતોએ ઉંચા ભાવ મળવાની આશાએ મગફળીનો સંગ્રહ કરી દીધો છે તે પણ જવાબદાર હોઈ શકે છે.