પૂર્વ દિગ્ગજ ક્રિકેટર માધવ આપ્ટેનું સોમવારે સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. આપ્ટેનાં પરિવારનાં સભ્યોએ આ માહિતી આપી હતી. તેઓ 86 વર્ષના હતા. પૂર્વ ઓપનર માધવ આપ્ટેને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે સવારે 6 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના પુત્ર વામન આપ્ટેએ પીટીઆઈને આ માહિતી આપી હતી.
માધવ આપ્ટેએ સાત ટેસ્ટ મેચમાં એક સદી અને ત્રણ અડધી સદીની મદદથી ભારત માટે 542 રન બનાવ્યા હતા. તેમનો ટોપ સ્કોર અણનમ 163 રન રહ્યો હતો. પ્રથમ શ્રેણીમાં માધવ આપ્ટેએ 67 મેચોમાં છ સદી અને 16 અડધી સદીની મદદથી 3,336 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો ટોચનો સ્કોર અણનમ 165 રહ્યો હતો. માધવ આપ્ટેએ ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયામાં નવેમ્બર 1952 માં પાકિસ્તાન સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી અને એપ્રિલ 1953 માં કિંગ્સ્ટન ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે તેમણે છેલ્લી ટેસ્ટ રમી હતી. તેમણે તેમની પ્રથમ ટેસ્ટ મેચમાં 30 અને અણનમ 10 રનની ઇનિંગ્સ રમી હતી. તે ટેસ્ટ સિરીઝમાં 400 થી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ઓપનર હતા. 1953 માં વેસ્ટ ઇન્ડીઝ સામે 460 રન બનાવીને તેમણે આ સિદ્ધિ હાંસલ કરી હતી.
માધવ આપ્ટેને અન્ય એક દિગ્ગજ બેટ્સમેન વિનૂ માંકડ દ્વારા ઓપનરની ભૂમિકા આપવામાં આવી હતી. બાદમાં તે ઘરેલું ક્રિકેટમાં મુંબઇનાં કેપ્ટન પણ બન્યા હતા. તેમણે કારકિર્દી દરમિયાન માંકડ, પોલી ઉમરીગર, વિજય હજારે અને રુશિ મોદી જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે આ રમતનો આનંદ લીધો હતો. તેઓ પ્રતિષ્ઠિત સીસીઆઇનાં પ્રમુખ પણ હતા.
માધવ આપ્ટેનાં મૃત્યુ બાદ ક્રિકેટ જગતનાં લિટલ માસ્ટર કહેવાતા સચિન તેડુંલકરે તેમની સાથએ વિતાવેળા પળોને યાદ કરતા ટ્વિટ કર્યુ. સચિને ટ્વિટમાં લખ્યુ કે, “માધવ આપ્ટેસર ની શાનદાર યાદો. જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારે હુ તેમની સાથે શિવાજી પાર્કમાં રમતો હતો. તે સમય હજી યાદ છે જ્યારે તે અને ડુંગરપુર સર મને 15 વર્ષની વયે સીસીઆઈ તરફથી રમવા દેતા હતા. તેમણે હંમેશાં મને ટેકો આપ્યો અને એક શુભચિંતક રહ્યા. તેમના આત્માને શાંતિ મળે.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.