બનાસકાંઠાનાં અમીરગઢ તાલુકામાં રીંછની દહેશત વચ્ચે વધુ એક ખેડૂત પર રીંછનાં હુમલાની ઘટના સામે આવી છે. અમીરગઢ તાલુકાનાં ડેરી ગામે રીંછે એક વૃદ્ધ ખેડૂત રંગાભાઈ નગાભાઈ ભીલ પર હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા.
બનાસકાંઠામાં રીંછની દહેશત દિવસેને દિવસે વધી ગઇ છે. ઘણીવાર રીંછ અહીનાં ખેતરોમાં જોવા મળી જાય છે. જેના કારણે ખેડૂતોમાં ડરનો માહોલ ઉભો થયો છે. તાજેતરમાં અમીરગઢ તાલુકાનાં ડેરી ગામથી રીંછનાં હુમલાની ઘટના સામે આવી હતી. જ્યા એક વૃદ્ધ ખેડૂત રંગાભાઇ નગાભાઇ ભીલ પર રીંછે અચાનક હુમલો કરતા તે ગંભીર રીતે ઘવાયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે રંગાભાઈ ખેતરમાં કામ કરી રહ્યાં હતા.
લોહીલુહાણ હાલતમાં રંગાભાઈને સારવાર અર્થે નજીકનાં હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેમની હાલત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યાં છે. અમીરગઢ પંથકમાં રીંછનાં હુમલાની આ કોઈ પહેલી ઘટના નથી. આ પહેલા પણ રીંછનાં હુમલાની અનેકો ઘટનાઓ સામે આવી ચુકી છે. જેને લઈને સમગ્ર પંથકમાં દહેશત વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સૌથી વધુ રીંછની વસ્તી બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે. જ્યા સૌથી વધુ અમીરગઢ અને દાંતા તાલુકામાં રીંછ મહત્તમ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. રીંછ નિશાચર પ્રાણી હોય છે અને દિવસભર મોટાભાગે તે પોતાના રહેઠાણ વિસ્તારમાં જ રહે છે અને તે મહત્તમ રાત્રીનાં સમયે જ બહાર નીકળે છે. આ પહેલા ગત મહિને એટલે કે મે મહિનાની 5 તારીખે અમીરગઢ તાલુકાનાં જેસોર રીંછ અભ્યારણની ચોમેર રહેતા લોકોને વિશ્વ રીંછ દિન નિમિત્તે વન વિભાગ દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા અને તમામ લોકોને રીંછ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. માહિતી આપવા પાછળનો મુખ્ય હેતુ સતત વધી રહેલો રીંછનો હુમલો છે. હુમલા પાઠળનું કારણ આપતા જેસોર રીંછ અભ્યારણ્યનાં વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વખતનું ચોમાસુ નિષ્ફળ નીવડ્યું છે. જેના લીધે લોકો સહિત વન્ય જીવો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા જંગલ વિસ્તારોમાં પાણીનાં કૂંડ ભરવામાં આવ્યા છે પરંતુ તે છતા રીંછ દ્વારા હુમલા કરવાની ઘટનાઓમાં અંકુશ આવી શક્યો નથી. ગામનાં લોકોને રીંછથી બચવા માટેની સમજ આપવામાં આવી રહી છે તમ છતા રીંછનાં હુમલામાં વધારો નોંધાતા તંત્રની પણ હવે વધી ગઇ છે.