બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ છે. શ્યામ રજક સહિતનાં કુલ 8 મંત્રીઓએ શપથ લીધા છે. જેમા બધા મંત્રીઓ જેડીયુ કોટાથી બનાવવામાં આવ્યા છે, જ્યારે ભાજપનાં એકપણ નેતાનો સમાવેશ આ મંત્રીમંડળમાં કરવામાં આવ્યો નથી.
મંત્રીમંડળનું વિસ્તરણ
મંત્રીમંડળ વિસ્તારમાં અશોક ચૌધરી, નીરજ ચૌધરી, શ્યામ રજક, નરેન્દ્ર નારાયણ યાદવ, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી, રામસેવક સિંહ અને સંજય જ્હાને જગ્યા આપવામાં આવી છે. જે 8 નેતાઓને મંત્રીમંડળમાં સમાવાયા છે તે બધા જેડીયુનાં જ છે.
મંત્રીમંડળમાં સમાવવામાં આવેલા ત્રણ વિધાનસભા કાઉન્સિલર તો પાંચ ધારાસભ્ય છે. વિધાન કાઉન્સિલરોમાં ડૉ.અશોક ચૌધરી, સંજય જ્હા અને નીરજ કુમાર છે, જ્યારે ધારાસભ્યોમાં ફુલવારીશરીફ ધારાસભ્ય શ્યામ રજક, હથુઆનાં રામસેવક સિંહ, આલમનગરનાં ધારાસભ્ય નરેન્દ્ર નારાયણ યાદવ, રૂપૌલીનાં બીમા ભારતી, લોકહા ધારાસભ્ય લક્ષ્મેશ્વર રાયનો સમાવેશ થાય છે. અહી સંજય જ્હા, લક્ષ્મેશ્વર રાય, નીરજ કુમાર અને રામસેવક સિંહ પહેલીવાર મંત્રી બન્યા છે. જ્યારે ડૉ.અશોક ચૌધરી, નરેન્દ્ર નારાયણ યાદવ, શ્યામ રજક અને બીમા ભારતી નીતીશ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. મંત્રીમંડળમાં જાતિગત ગણીતની વાત કરીએ તો બે સવર્ણો, બે દલિતો, બે પછાત અને બે અતિપછાત વર્ગથી છે.