લિમિટેડ ઓવરમાં ટીમ ઈન્ડિયાનાં વાઇસ કેપ્ટન રોહિત શર્માની ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પહેલા ટીમમાં પસંદગી કરવામાં આવી ન હોતી. રોહિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં મુંબઇ ઈન્ડિયન્સ તરફથી રમતા ઈજાગ્રસ્ત થયો હતો અને કહેવામાં આવી રહ્યું છે કે તેની ફિટનેસને કારણે તેને ટીમમાં સ્થાન મળ્યું નથી.
આ પછી, રોહિત મુંબઇ ઈન્ડિયન્સ વતી મેદાન પર પાછો ફર્યો, ત્યારબાદ ટીમમાં પસંદગી ન લેવા અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી. તાજેતરમાં, કેપ્ટન વિરાટ કોહલીની પિતૃત્વ રજાને ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) મંજૂરી આપી દીધી અને સાથે જ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની ટેસ્ટ સીરીઝ માટે રોહિત શર્મા ટીમમાં પરત પણ થઇ ગયો છે. એડિલેડમાં જે પ્રથમ ટેસ્ટ રમાશે તે બાદ વિરાટ ઘરે પરત ફરશે. બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ પ્રથમ વખત રોહિતની પસંદગી નહીં થવા અંગે ખુલીને વાત કરી છે.
પાંચમી વખત મુંબઈ ઈન્ડિયન્સને આઈપીએલ ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માએ ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સામે 68 રનની મેચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી, જો કે ગાંગુલી માને છે કે, રોહિત માત્ર 70 ટકા ફીટ છે. રોહિત 18 ઓક્ટોબરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રન લેતી વખતે હેમસ્ટરિંગમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે પછી તે મુંબઈ ઈન્ડિયન્સની આગામી ચાર મેચ રમ્યો ન હતો. પરંતુ તે છેલ્લી લીગ મેચમાં રમ્યો હતો, પ્રથમ ક્વોલિફાયર અને ફાઈનલમાં રમ્યો હતો. ફાઇનલમાં તેણે પોતાની ટીમ તરફથી સૌથી વધુ 68 રન બનાવ્યા હતા.